
રાજકોટ : રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ જે ઓક્સિજન પર નથી. અને હોસ્પિટલમાં દાખલ થઈને કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. તેવા દર્દીઓ શું થશે એવા વિચારોમાં રહેતા હોય છે આ ઉપરાંત ઘણા દર્દીઓ ઓક્સિજનની સારવાર સાથોસાથ હકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ શરૂ કરાયું છે. 600 થી વધુ વિવિધ કેટેગરીના પુસ્તકો દર્દીઓમાં નવી હકારાત્મક ચોક્કસ ઉર્જા પુરી પાડશે
પુસ્તક પરબના પ્રણેતા અને સાઈક્રિયાટિસ્ટ સોશિયલ વર્કર અને સમરસ ખાતે એમ.એસ. ડબ્લ્યુ ટીમના હેડ નીલધારા રાઠોડનું જણાવ્યુ હતું કે, સમરસ ખાતે દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડવા આ પૂર્વે વીડિયો કોલિંગ અને કાઉન્સેલિંગની સુવિધા શરુ કરવામાં આવી હતી. દર્દીઓમાં નિરાશા કે નકરાત્મક ભાવ ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પુસ્તકોથી હકારાત્મક વિચારોમા દર્દીઓને ગુંથાયેલા રાખવાની વાત કરી હતી. જેનો કલેક્ટર તેમજ અધિક કલેક્ટર મેહુલ દવેએ હકારાત્મક પ્રતિભાવ આપતા સમરસ ખાતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ડોક્ટર્સ દ્વારા અમારી ટીમે આ કાર્ય શરુ કર્યું છે.
અમદાવાદની મેન્ટલ હેલ્થ ફોર સિવિલ (પી.એસ.ડબલ્યુ), અર્પણ નાયક તેમજ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવેલા પુસ્તકો રાજકોટ સિવિલ ખાતે તેમજ સમરસ ખાતે લાવવામાં આવ્યા છે. જેમાં આધ્યાત્મિક, ધાર્મિક, પોઝિટિવ થિંકીંગ, નવલકથા અને વાર્તાઓની વિવિધ પુસ્તિકાઓ દર્દીઓની રસરુચિ મુજબ પુરી પાડવામાં આવે છે. દર્દીઓ તેમનો સમય અન્ય વિચારોમાં પસાર કરતા હતા તેને બદલે હવે તેઓ પુસ્તક વાંચનની પ્રવૃતિમાં જોડાઈ ગયા છે. પરિણામે તેમનું મન કોરોનાના વિચારોમાંથી બહાર આવી અન્ય દિશામાં વળ્યું છે, જેનાથી તેમની તબિયતમાં ઝડપી સુધારો આવશે તેવો આશાવાદ આ ટીમે વ્યક્ત કર્યો છે. કહેવાય છે કે એક સારું પુસ્તક સો મિત્રની ગરજ સારે છે. ત્યારે અહીં તો 600 થી વધુ પુસ્તકો દર્દીઓના સાચા મિત્ર બનવા જઇ રહ્યા છે.