
મુખ્યમંત્રીએ સીએસને સાથે રાખીને અમદાવાદ-રાજકોટ 6 લેન હાઈવેના કામનું નિરિક્ષણ કર્યું
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે શનિવારે સવારે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેણે અમદાવાદ – રાજકોટ હાઇવેની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અચાનક નિરિક્ષણ માટે આવતા જિલ્લાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ નિરિક્ષણ બાદ કોન્ટ્રાક્ટરને કેટલીક સુચનાઓ આપી હતી. તેમજ લીંબડી હાઈવેના ઓવરબ્રીજનું કામ જલ્દી પૂર્ણ કરવાનું સુચન કર્યુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને લીધે મુખ્યમંત્રીએ તા. 15મી જાન્યુઆરી સુધી જાહેર કાર્યક્રમો મુલત્વી રાખ્યા છે. દરમિયાન આજે સવારે મુખ્ય સચિવને સાથે લઈને મુખ્યમંત્રી અમદાવાદ-રાજકોટના હાઈવેના કામનું નિરિક્ષણ કરવા પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવાના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોએ માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કાફલો રોકાવીને હાઈવે પર આવેલી એક હોટલમાં ચા પણ પીધી હતી. તેમને આ રીતે હાઈવેની હોટલમાં ચા પીતા જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. તેમણે રોડના કામમાં વપરાતા મટિરિયલની પણ તપાસ કરી હતી અને કેવા પ્રકારનું મટિરિયલ વપરાઈ રહ્યું છે તેની જાણકારી મેળવી હતી. તેમણે રોડના બાંધકામમાં વપરાતી મશિનરીનું પણ નિરક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અમદાવાદ-રાજકોટ 6 લેન હાઈવે ઉપરાંત તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કેટલું આગળ વધ્યું છે તેની પણ જાણકારી મેળવી હતી.