1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે,જાણો આ વર્ષે શું શું છે ખાસ
અમદાવાદમાં રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે,જાણો આ વર્ષે શું શું છે ખાસ

અમદાવાદમાં રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે,જાણો આ વર્ષે શું શું છે ખાસ

0
Social Share

અમદાવાદ:રવિવારથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી20ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે.જેનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવશે,આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે.

દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં જી-20 દેશોના પતંગબાજો ઉપરાંત રાજદ્વારી પ્રતિનિધિઓ પણ સામેલ થશે. આ વર્ષે, ગુજરાતના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઊડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલૅ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.

આ મહોત્સવમાં પતંગનો ભાંતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,કોરોના મહામારીને કારણે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરી એકવાર અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે.

ડિસેમ્બર 2022માં ભારતે જી20ની અધ્યક્ષતા સંભાળી. જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવાના વડાપ્રધાનના દ્રષ્ટિકોણને અનુરૂપ ભારતના લોકો માટે જી20નો અર્થ શું છે,તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે.તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code