દેશમાં કોરોનાના 228 કેસ નોંધાયાં, 275 દર્દીઓ સાજા થયાં
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01 ટકા
- રસીના અત્યાર સુધીમાં 220 કરોડથી વધારે ડોઝ અપાયા
- 42 કરોડ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ભારત સરકારે પણ કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ મલી આવ્યાં હતા. જો કે, તેની સામે વધારે દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. લગભગ 275 દર્દીઓ સાજા થયા હતા. આમ દેશમાં અત્યાર સુધીમાં લગભગ 4.42 કરોડ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 220.12 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ બીજો ડોઝ અને 22.42 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા હતા. છેલ્લા ચોવિસ કલાકમાં 46,450 ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવીટી દર 0.11 ટકા છે. હાલ દેશમાં કોરોનાના 2503 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આમ સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01 ટકા છે. બીજી તરફ સાજા થવાનો હાલનો દર 98 ટકાથી વધારે છે. દેશમાં કોરોનાને લઈને કુલ 91.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા ચોવિસ કલાકમાં 1,99,731 ટેસ્ટ કરાયા હતા.
દેશમાં કોરોનાની નવી લહેરને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દેશના તમામ રાજ્યોની સરકારોને હોસ્પિટલમાં ઓક્સિજન બેડ અને જરુરી દવાઓનો જથ્થો તૈયાર રાખવા આદેશ કર્યાં છે. તેમજ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવ્યું છે.