- દોઢ કિલોમીટરનો રોડ બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો,
- પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ ગયો,
- રોડ બન્યા બાદ ચકાસણી માટે એકપણ અધિકારી ડોકાયા નથી
ડભોઈઃ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે, પણ અધિકારીઓની લાપરવાહી કે ભ્રષ્ટાચારને કારણે રોડના કામો એવા તરલાદી હોય છે કે, પ્રથમ વરસાદમાં રોડ ક્યા બનાવ્યો હતો તે શોધવા પડતો હોય છે. ડભોઈ તાલુકાના સોમપુરા ગામથી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડ સુધીનો દોઢ કી.મી.નો ડામર રસ્તો એક માસ પહેલા જ લાખો રૂપિયાનું આંધણ કરી બનાવાયો હતો. જે પ્રથમ વરસાદમાં જ ધોવાઇ જતા ગામના લોકોમાં તંત્રની લાપરવાહી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ડભોઈ તાલુકાના સોમપુરા ગામથી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડ સુધીનો દોઢ કી.મી.નો ડામર રસ્તો એક માસ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. રોડ બન્યો ત્યારે પણ ગ્રામજનોએ ફરિયાદો કરી હતી. અને પ્રથમ વરસાદમાં રોડ તૂટી ગયો છે.જે રોડ ધોવાઈ ગયો છે. તેનું ધોવાણ અને નુકશાનીના સર્વે કરવા પણ એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા જ નથી. દેશની આઝાદીના વર્ષો બાદ પહેલી જ વાર સોમપુરા ગામના બસ સ્ટેન્ડથી ગામ સુધીનો પાકો ડામર રસ્તો ગામ લોકોના નસીબે બન્યો હતો. જેથી ગામમાં અવર જવર માટે પાકા રસ્તાની સુવિધા મળતા ગામ લોકોનો હરખ સમાતો ના હતો. ત્યાં તો ચાલુ સિઝનમાં પ્રથમ વરસાદની હેલીમાં જ ડામર રસ્તાની આજુબાજુમાં થયલા પુરાણ સહિત રસ્તો ધોવાય જતા ભ્રષ્ટ કામગીરીના નમૂનો જોવા મળ્યો હતો. આટલું ઓછું હોય તેમ સ્થળ ચકાસણી કરવા એક પણ અધિકારી સોમપુરા ગામે ડોકાયા નથી.
ગ્રામજનોના કહેવા મુજબ નવા બાંધકામો, રોડ રસ્તાના કામો, બ્રિજના થતા બાંધકામોની ગાંધીનગરથી સીધી તપાસ થાય તો જ કામગીરીની ગુણવત્તા જળવાઈ શકે તેમ છે. નહીંતર સ્થાનિક અધિકારીઓના વ્યવહારથી જ ગુણવત્તા વિનાના બાંધકામો થતા હોય તેઓ સામે ફરીયાદ નિરર્થક થઈ રહી છે. સોમપુરા ગામે પણ હાલ સુધી એક પણ અધિકારી ગામની મુલાકાતે આવતા નથી. ખાલી રેકોર્ડ ઉપર જ મુલાકાત બતાવતા હોય છે. વિકાસની અને વાતો કરતા અધિકારીઓને સામે ગ્રામજનો રોષ ઠાલવી આ રહ્યા છે.