
લખનૌઃ જ્ઞાનવાપી મામલો હાલ કોર્ટમાં પેન્ડીંગ છે, મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હાવાના દાવા સાથે હિન્દુ પક્ષ જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેની માંગણી કરી રહ્યું છે, બીજી તરફ મુસ્લિમ પક્ષ દ્વારા 1000 વર્ષ કરતા પણ વધારે સમયથી મસ્જિદ હોવાનો દાવો કરી રહ્યું છે. એએસઆઈ સર્વેને લઈને આગામી દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. દરમિયાન ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનું જ્ઞાનવાપીને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે. મુસ્લિમ સમુદાય સમગ્ર મામલે ઐતિહાસિક ભૂલ કરી રહ્યું છે. જેથી આ ભૂલના નિરાકરણ માટે મુસ્લિમ સમુદાયે આગળ આવવું જોઈએ.
જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો તેના પર વિવાદ થશે. તેમણે કહ્યું કે આ અંગે મુસ્લિમ પક્ષ દ્વારા ઐતિહાસિક ભૂલ થઈ છે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ.સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે જણાવ્યું હતું કે, “જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર ભગવાનની મૂર્તિઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ રાખી નથી. એવો પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, મસ્જિદની અંદર ત્રિશુલ શું કરી રહ્યું છે.મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે તેણે તે જોવું જોઈએ. જ્ઞાનવાપીમાં જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે. બધી દીવાલો શું કહે છે? સરકાર આ વિવાદના ઉકેલ માટે પ્રયાસ કરી રહી છે. અમે આનો ઉકેલ ઈચ્છીએ છીએ.”
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે “જ્ઞાનવાપીને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઐતિહાસિક ભૂલ કરવામાં આવી છે. મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે સાહેબ, આ ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.” આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને ‘ભારત‘ નામ આપવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેને ‘ઇન્ડિયા‘ ના કહેવા જોઈએ, તે ડોટ ડોટ ડોટ ગ્રુપ છે. કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હિંદુ પક્ષ દ્વારા આ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મુસ્લિમ પક્ષ તરફથી આ સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. આ મામલે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્ટ પણ આ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે.