વાળને રેશમી અને ચમકદાર બનાવવા માટે વરદાન સમાન છે આ 4 કુદરતી જેલ, જાણો બનાવવાની રીત
આજકાલ પ્રદૂષણ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે વાળ નિર્જીવ અને સૂકા થઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. લોકો વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે હજારો રૂપિયા ખર્ચીને પાર્લરમાં કેમિકલ ટ્રીટમેન્ટ લેતા હોય છે, જે લાંબે ગાળે વાળને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો, તો રસોડામાં રહેલી કેટલીક કુદરતી વસ્તુઓનો જાદુઈ જેલ તમારા વાળમાં નવો પ્રાણ પૂરી શકે છે. નિષ્ણાતોના મતે કુદરતી વસ્તુઓનો ફાયદો તો થાય જ છે, પરંતુ તેની કોઈ આડઅસર થવાની શક્યતા નહિવત હોય છે. ચાલો જાણીએ કયા નેચરલ જેલ તમારા વાળને કુદરતી ચમક આપશે:
ભીંડાનું જેલ
ભીંડા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ વાળ માટે પણ અદભૂત છે. તે વાળને ઊંડું પોષણ આપે છે. ભીંડાને નાના ટુકડામાં કાપી પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. પાણી ઘટ્ટ અને જેલ જેવું થાય એટલે તેને ઠંડુ થવા દો. ત્યારબાદ મલમલના કપડાથી ગાળી લો. વાળના અલગ-અલગ સેક્શન કરીને આ જેલ લગાવો અને 30 મિનિટ બાદ વાળ ધોઈ લો.
અળસીનું જેલ
અળસીના બીજ વાળને શાઈની અને મુલાયમ બનાવવામાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. અળસીના બીજને પાણીમાં ઉકાળો. જેમ જેમ પાણી ઉકળશે તેમ તે જેલ જેવું ઘટ્ટ બનશે. તેને ગરમ હોય ત્યારે જ ગાળી લો. આ જેલને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તે ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે.
મેથી દાણાનું જેલ
વાળ ખરતા અટકાવવા અને તેને કન્ડિશન કરવા માટે મેથી શ્રેષ્ઠ છે. મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો. હવે આ પેસ્ટને કપડામાં નાખીને નીચોવી લો, જેથી તમને સ્મૂધ જેલ મળી રહેશે. સીધી પેસ્ટ લગાવવાથી વાળમાંથી મેથી કાઢવી મુશ્કેલ પડે છે, પરંતુ જેલ લગાવવાથી વાળ સરળતાથી ધોઈ શકાય છે. તેને 20-25 મિનિટ લગાવી રાખો.
એલોવેરા જેલ
એલોવેરાના ગુણોથી આપણે સૌ વાકેફ છીએ. તે વાળને કુદરતી રીતે હાઇડ્રેટ કરે છે. જો તમે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનરની જગ્યાએ તાજું એલોવેરા જેલ લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો, તો પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. વધુ સારા રિઝલ્ટ માટે એલોવેરા જેલમાં ઈંડું અથવા દહીં ઉમેરીને પણ લગાવી શકાય છે.
કુદરતી ટ્રીટમેન્ટ ધીમે પણ કાયમી અસર કરે છે. આ પદ્ધતિઓ અપનાવવાથી તમારા વાળ માત્ર સુંદર જ નહીં, પણ મજબૂત અને હેલ્ધી પણ બનશે.
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાએ નવા પાણી અને ઉર્જા ઉપયોગ ધોરણો કર્યા નક્કી


