- ત્રણેયને ઓસ્ટ્રેલિયાના બહાને ઈરાન લઈ જવાયાં હતા
- એજન્ટોએ તેમને ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી હતી
- તેહરાન પોલીસે એક ઓપરેશન દરમિયાન તેમને બચાવ્યા હતા
તેહરાન: ઈરાનમાં અપહરણ કરાયેલા ત્રણ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતમાં ઈરાની દૂતાવાસે પણ X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. ત્રણેય ભારતીયો પંજાબના રહેવાસી હતા, જેમને એજન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ઈરાન લઈ જવામાં આવ્યા હતા. તેહરાન પહોંચ્યા પછી ત્રણેય ગુમ થઈ ગયા હતા. બાદમાં કેટલાક લોકોએ પરિવારનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને ખંડણી માંગવામાં આવી છે. અપહરણની જાણ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
અહેવાલ અનુસાર, ત્રણ ભારતીયો 1 મેથી ગુમ હતા. તેમને દક્ષિણ તેહરાનના વરામિન શહેર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેહરાન પોલીસે એક ઓપરેશન દરમિયાન તેમને બચાવ્યા હતા. પંજાબ પ્રાંતના રહેવાસી આ ત્રણ ભારતીયો ઓસ્ટ્રેલિયા જવા માટે ઈરાન પહોંચ્યા હતા. એક સ્થાનિક ટ્રાવેલ કંપનીએ તેમને ઓસ્ટ્રેલિયામાં નોકરી આપવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં તેમને સીધા ઓસ્ટ્રેલિયા મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે એજન્ટે બહાનું બનાવીને તેમને ઈરાન જતી ફ્લાઇટમાં બેસાડી દીધા હતા. અપહરણ કરાયેલા ત્રણેય ભારતીયોને મુક્ત કરવામાં આવ્યાં છે અને તેમને આગામી દિવસોમાં પરત લાવવામાં આવશે. ત્રણેય ભારતીયોની મક્તિને લઈને પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે.