Site icon Revoi.in

ભ્રષ્ટાચારને ડામવા માટે રૂ. 500ની નોટ પરત ખેંચવી જોઈએઃ ચંદ્રબાબુ નાયડુ

ચંદ્રબાબુ નાયડુ
Social Share

હૈદરાબાદઃ દેશમાં ભ્રષ્ટાચારને નાથવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારને ડામવા માટે મોટી ચલણી નોટો ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. ફક્ત 100 અને 200 રૂપિયાથી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ, 500 રૂપિયાની નોટની પણ જરૂર નથી. તેના પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ.’

મફત યોજનાઓ (ફ્રીબીઝ કલ્ચર) અંગેના નાયડુએ કહ્યું કે ‘ફ્રીબીઝ શબ્દ યોગ્ય નથી. પહેલા ઘણી કલ્યાણકારી યોજનાઓ નહોતી. પરંતુ એન.ટી. રામા રાવે (ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામા રાવ) ઘણી લાભદાયી યોજનાઓ શરૂ કરી. આજે દેશમાં સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે પરંતુ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. આથી કલ્યાણકારી યોજનાઓ અર્થપૂર્ણ હોવી જોઈએ અને તેમની ડિલિવરી અસરકારક હોવી જોઈએ.’

નાયડુએ જાતિ વસ્તી ગણતરી અને કૌશલ્ય વસ્તી ગણતરી બંનેને ટેકો આપતા કહ્યું કે, ‘જાતિ, કૌશલ્ય અને આર્થિક વસ્તી ગણતરી દરેક નાગરિક માટે એકસાથે થવી જોઈએ. આજના યુગમાં, ડેટા ખૂબ શક્તિશાળી બની ગયો છે. આનાથી, જાહેર નીતિને વધુ સારી રીતે લાગુ કરી શકાય છે.’ કેન્દ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપી છે. અત્યાર સુધી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આવી વસ્તી ગણતરી કરવામાં આવી છે.

નાયડુએ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સમર્થન આપ્યું હતું. આ વખતે પણ તેમણે પોતાના એ જ અભિપ્રાયનો પુનરોચ્ચાર કરતા કહ્યું, ‘સ્થાનિક ભાષા, માતૃભાષા મહત્ત્વપૂર્ણ છે, આમાં કોઈ સમાધાન થઈ શકે નહીં – પછી ભલે તે તમિલ હોય, તેલુગુ હોય કે કન્નડ. પરંતુ આપણે હિન્દી કેમ ન શીખી શકીએ જેથી આપણે ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરી શકીએ? રાષ્ટ્રીય સ્તરે તેને માન્યતા આપવામાં કોઈ નુકસાન નથી.’