- માલવણ ટોલનાકા પાસે બન્યો અકસ્માતનો બનાવ,
- ટ્રેલરનું પાછળના જોટાનું ટાયર ફાટતા ટ્રેલર ધીમી ગતીએ જઈ રહ્યુ હતુ,
- બજાણા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,
સુરેન્દ્રનગરઃ જિલ્લાના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માલવણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશર ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. ટ્રેલર સ્ટીલની કોઈલ અને શીટ ભરીને અંજારથી સુરતના હજીરા જઈ રહ્યુ હતુ. દરમિયાન માલવણ ટોલનાકા નજીક ટ્રેલરના પાછળના વ્હીલના જોટાનું એક ટાયર ફાટી જતાં ટ્રેલરચાલકે લિફ્ટેડ ટાયર લગાવ્યું હતું. અને ટ્રેલર ખૂબ ધીમી ગતિએ જઈ રહ્યુ હતુ ત્યારે પાછળથી આયસર ટ્રક અથડાયો હતો.
પાટડીના માલવણ હાઈવે પર રાત્રે ધીમી ગતિએ જતા ટ્રેલર પાછળ આઈશર ઘૂસી જતા આઈસર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં બજાણા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રના કહેવા મુજબ ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશર ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટ્રેલર ચાલક સૂર્યનારાયણ યાદવ (બિહાર)ના કહેવા મુજબ, તે AMNS કંપનીમાંથી સ્ટીલની કોઈલ અને શીટ ભરીને અંજારથી સુરત હજીરા જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે માલવણ ટોલનાકા પાસે ફરી ટાયર ફાટ્યું હતું. કંપનીના સુપરવાઈઝર વિશાલની સલાહ મુજબ ટ્રેલર આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સવારે લગભગ 3:45 વાગ્યે આઈ સોનલ હોટલથી આગળ મોટી મજેઠી ગામના રસ્તા પાસે એચ.પી. પેટ્રોલ પંપની સામે આ અકસ્માત સર્જાયો હતો
અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આઈશર ચાલક ગાડીમાં ફસાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. ક્રેન દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બજાણા પોલીસ મથકના જે.એમ. વહેર કેસની તપાસ કરી રહ્યા છે.