
સુરજબારી નજીક અજાણ્યા ટ્રકચાલકે રાત્રે માટીને જથ્થો હાઈવે પર ઠાલવી દેતા ડમ્પરનો અકસ્માત સર્જાયો
ભૂજઃ કચ્છના સુરજબારી માળિયા ધોરીમાર્ગ પરના સમુદ્ર બ્રિજ પાસે કોઈ અંજાણ્યા વાહન ચાલકે માટી રસ્તા પર ઢોળી દીધી હતી. જેમાં એક ડમ્પરનો અકસ્માત સર્જોયો હતો. વાહન ચાલકે ચાઈના કલેનો જથ્થો માર્ગ વચ્ચે વાહનમાંથી ખાલી કર્યો હોવાથી માટીનો ઢગલો થયો હતો. જેમાં એક ડંપર અથડાયું હતું. જેથી ડંપરમાં ભારે નુકસાન થયું હતું. જોકે, સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પરંતુ વાહન ચાલકની આ પ્રકારની બેદરકારી અન્ય વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરજબારી – માળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે ખનિજ પરિવહન કરતા કોઈ વાહન દ્વારા સંભવિત તંત્રની તપાસના ભયે ચાઈના કલે ભરેલો જથ્થો માર્ગ પર જ ખાલી કરી દેવામાં આવ્યો હતો. માર્ગ વચ્ચે પડેલા આ ઢગલામાં મોરબી તરફ જતું ડંપર અથડાયું હતું. જેના કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો.
આ અકસ્માતમાં ડંમ્પરમાં આગળ તરફના બન્ને એક્સલ તૂટી જતા ભારે નુકસાન થયું હતું. સદનસીબે ચાલકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ પોલીસ અને હાઇવે ઓથોરિટીને થતા ઘટનાસ્થળે પડેલી માટીનો જથ્થો જેસીબી મશીન વડે દૂર કરાયો હતો. માર્ગ પરના અવરોધ દૂર થતાં ફરી ટ્રાફિક પૂર્વવત થઈ શક્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છમાં મોટાપાયે ખનિજ ચોરી થતી હોવાના અનેક આક્ષેપો ઉઠતા રહે છે. જેની સાબિતી આપતા આ પ્રકારના બનાવોથી અને તંત્રની કાર્યવાહીથી બચવાના પ્રયાસમાં ખનિજ પરિવહન કરતા વાહન ચાલકો દ્વારા દાખવાતી બેદરકારી અન્ય નિર્દોષ લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. ત્યારે કચ્છનું વહીવટી તંત્ર સખ્ત બની ઓવરલોડ અને ખનિજ ચોરી પ્રત્યે સઘન કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે.