ભાવનગરના વલ્લભીપુર નજીક બોલેરો પીકઅપ પલટી ખાતા બે વ્યક્તિના મોત, 15ને ઈજા
ભાવનગરઃ ગોહિલવાડમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પૂરઝડપે વાહન ચલાવવાને લીધે તેમજ ઓવરટેક કરવાની ઉતાવળમાં અકસ્માતો વધુ સર્જાતા હોય છે. ત્યારે વલ્લભીપુર નજીક આવેલ પાટણા ગામ નજીક બોલેરો પીકઅપ પલટી ખાઈ જતાં બોટાદ જિલ્લાના સુંદરિયાણા ગામના બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, બોટાદ જિલ્લાના સુંદરિયાણા ગામમાં રહેતા વાલ્મિકી સમાજના પરિવારના સભ્યો તેમજ સ્નેહીજનો વહેલી સવારે બોલેરો પીકઅપ વાહન લઈને ભાવનગર નજીક આવેલા કોળીયાકના દરિયામાં અસ્થિ વિસર્જન માટે આવી રહ્યા હતા તે દરમિયાન વલ્લભીપુરના પાટણા ગામ નજીક બોલેરોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો પીકઅપ વાન પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં મોહનભાઈ બીજલભાઇ વાળા ( ઉ.વ. 50 ) અને અજય બહાદુરભાઈ વાળા ( ઉ.વ. 17 ) નું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.
અકસ્માતના બનાવની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા વલ્લભીપુર પોલીસ કાફલો તેમજ 108 એમ્બ્યુલન્સ નો કાફ્લો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકો, મહિલાઓ સહિતના 15 થી વધુ લોકોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. બે વ્યક્તિના મોતથી સુંદરિયાણા ગામે ગમગની વ્યાપી ગઈ હતી. પોલીસે આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.