- કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. જે. દેસાઈએ શપથ લેવડાવ્યાં
- હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ રહ્યાં ઉપસ્થિત
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ખાતે બે નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. જે. દેસાઈએ બંને નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથ લેવડાવ્યા હતા. નવનિયુક્ત ન્યાયાધીશ દેવન દેસાઈ અને સુશ્રી મોક્ષા કિરણ ઠક્કરે શપથગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશઓના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણીની નિવૃત્તિને પગલે જસ્ટીસ એ.જે.દેસાઈને નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટની કોલેજીયમની ભલામણ બાદ કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટમાં વધુ બે જજની નિમણૂંકની મંજૂરી આપી હતી. આ અંગે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ અગાઉ ટ્વીટ કરીને માહિતી આપી કે, ભારતના બંધારણ હેઠળની સંબંધિત જોગવાઈઓ મુજબ, એડવોકેટ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને એડવોકેટ મોક્સા કિરણ ઠક્કરની ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન આજે બંને નવનિયુક્ત ન્યાયમૂર્તિઓએ શપથગ્રહણ કર્યાં હતા.
અત્રે ઉલ્લેખની છે કે, ગત 15 માર્ચે ગુજરાતમાં 5 જ્યુડિશિયલ અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ 5 નામોની યાદી પણ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે નવા નિમાયેલા ગુજરાતના પાંચ ન્યાયાધીશોમાં સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખભાઈ દલસુખભાઈ સુથાર, જીતેન્દ્ર ચંપકલાલ દોશી, મંગેશ રમેશચંદ્ર મેંગડે તેમજ દિવ્યેશકુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે.