
નવી દિલ્હીઃ યુક્રેનમાં છેલ્લા 24 દિવસથી ભયાનક હુમલાઓ કરી રહેલા રશિયાએ હવે યુદ્ધમાં પોતાની સુપર-વિનાશક હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યાનું જાણવા મળે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમની સેનાએ કિન્ઝાલ હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનના મિસાઇલ શસ્ત્રાગારનો નાશ કર્યો છે. રશિયાએ આ ઘાતક મિસાઇલોનો ઉપયોગ એવા સમયે કર્યો છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન અન્ય એક રશિયન જનરલ આંદ્રે મોરદેવીચેવનું મોત થયું હતું. અમેરિકાએ ચેતવણી આપી હતી કે, યુક્રેન ઉપર રશિયા પરમાણુ હુમલો પણ કરી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જનરલ આંદ્રે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામનાર પાંચમા ટોચના રશિયન અધિકારી છે. દરમિયાન, યુએસ સૈન્યએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયન પ્રમુખ પુતિન પરમાણુ ધમકીનો ઉપયોગ કરી રહ્યા છે અને નવા પરમાણુ બોમ્બ પર કામ કરી રહ્યા છે જે પશ્ચિમી સંરક્ષણોને પણ વીંધી શકે છે. આનાથી પુતિન પશ્ચિમી દેશોને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જો રશિયન સૈન્ય યુક્રેનમાં ભારે વળતો હુમલો કરવાનું ચાલુ રાખશે તો પુતિન પરમાણુ હુમલાની તૈયારી કરી શકે છે.
યુએસ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ સ્કોટ બેરિયરે કહ્યું કે યુક્રેનની રાજધાની કિવ પર પરમાણુ હુમલાનું જોખમ વધી શકે છે. રશિયન સેના સતત કિવ પર હુમલો કરી રહી છે પરંતુ તેને હજુ સુધી સફળતા મળી નથી. પુતિન આખી દુનિયા માટે ખતરો બની શકે છે. તેમણે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ‘આ યુદ્ધ અને તેના પરિણામે રશિયાની પરંપરાગત સૈન્ય ક્ષમતા નબળી પડી રહી છે, એવી સ્થિતિમાં રશિયા કદાચ તેના પરમાણુ હથિયારો પર ભરોસો કરી શકે છે. તેના દ્વારા તે પશ્ચિમી દેશો અને વિદેશી અને સ્થાનિક જનતાને સંદેશ આપી શકે છે.