વડોદરા, 28 જાન્યુઆરી 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુજીસીના નવા નિયમો સામે વિરોધ ઊભો થયો છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન આપીને યુજીસીના નવા નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા પણ નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે.
દેશમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમો જાહેર કર્યા હતા. જે અંતર્ગત કોલેજ-યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશન આપવામાં આવ્યા હતા. વિશેષ સમિતિઓ ખાસ રીતે SC, ST અને OBC સ્ટુડન્ટની ફરિયાદો
સુરત શહેરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને આ કાયદાને ‘કાળો કાયદો’ ગણાવી રદ કરવાની માગ કરી હતી.
બ્રહ્મ સમાજે કલેકટરને આપેલા આવેદનપત્રમાં એવી રજુઆત કરી છે કે, આ નવો કાયદો સવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય અને તેમની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે. સવર્ણ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવા માટે કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે.
બ્રહ્મ સમાજના આગેવાન જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારે UGCમાં આ પ્રકારનો કાયદો લાગુ કરીને સવર્ણ સમાજ સાથે દેખીતો અન્યાય કર્યો છે. સવર્ણ બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડાં સહન કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાલમાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણ સમાજના વિરોધને પગલે વાતાવરણ ગરમાયું હતું અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલન શુક્લાએ જણાવ્યું હતું કે, UGCનો જે અધિનિયમ સરકાર લાવી છે તે ‘કાળા કાયદા’ સમાન છે. જેમાં એવું પ્રદાન છે કે, સવર્ણ જ્ઞાતિના બાળકો વિરૂદ્ધ ST, SC કે OBC સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો સાત દિવસમાં તેનું રિઝલ્ટ આપવાનું અને 90 દિવસમાં તેમની સામે ગુનો દાખલ કરવાનો. હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાંથી કાઢી મુકવાનો અથવા કોલેજમાંથી પણ દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

