અમદાવાદમાં રોડના મરામતની ખૂબ ધીમી કામગીરી, કોન્ટ્રાક્ટર- અધિકારીઓના મીલીભગતના આક્ષેપ
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન દરેક વિસ્તારમાં ખાડાઓ પડ્યા છે. અને રોડ ધોવાઈ ગયા છે. ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ નવરાત્રી પહેલા રોડ મરામતના કામો પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરી હતી. દરમિયાન અંદાજિત 30000થી વધુ ખાડાઓ પુર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટીમાં શહેરમાં પડેલા ખાડાઓ જલ્દીથી પુરવામાં આવતા નથી, જે મામલે ભાજપના કોર્પોરેટરોએ ફરિયાદ કરી હતી અને ઝડપથી ખાડા પુરાય તેવી અધિકારીઓને રજૂઆત કરી હતી. શહેરમાં હજુપણ ઘણા વિસ્તારોમાં ખાડાં પૂરવામાં આવ્યા નથી. જે ખાંડા પુરવાની કામગીરી કરવામાં આવે છે. તે ખૂબજ ધીમી ગતિએ થઈ રહી હોવાની પણ ચર્ચા જાગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના રોડ-રસ્તાઓ પર વરસાદને લીધે ખાંડા પડી ગયા હતા. હવે મેઘરાજાએ વિદાય લેવાની તૈયારીમાં છે. જે રોડને વધુ નુકસાન થયું છે અને ધોવાઈ ગયા છે તેને રીસરફેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 1લી સપ્ટેમ્બરથી ડામરના હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થવાના હતા. જોકે ત્યારે જ વરસાદ શરૂ થતાં પ્લાન્ટ શરૂ થઈ શક્યા ન હતા. પરંતુ રવિવારથી પ્લાન્ટ શરૂ થઈ જતા હવે રોડની કામગીરી પૂરજોશમાં શરૂ થશે અને 20 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખાડાઓ પુરાઈ જશે તેમ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ દાવો કર્યો છે.
એએમસીની તાજેતરમાં મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટીમાં શહેરમાં પડેલા ખાડાઓ ઝડપથી પૂરા કરવા અને બીજા હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરી રોડ સરફેસની કામગીરી કરાવવામાં આવે તે મામલે ઉગ્ર ચર્ચા થઈ હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ભાજપના સત્તાધીશો દ્વારા શહેરમાં પ્રજાના વિકાસના કામો કરવામાં આવી રહ્યા હોવાનું દર્શાવવા માટે રૂ. 308 કરોડના કામ મળેલી રોડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગે ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, મકરબા, હેબતપુર અને વેજલપુર બુટ ભવાની મંદિર રેલવે ફાટક પર બનનારા રેલવે ઓવરબ્રીજ ભારત સરકારના ફાટક અભિયાન અંતર્ગત બનવાના છે જેમાં 50 ટકા રેલવે મંત્રાલય અને 50 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. જેથી એક પણ રૂપિયો કોર્પોરેશનને તેમાં ભોગવવાનો નથી માત્ર કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે.
મ્યુનિના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક તરફ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કરોડો રૂપિયાના કામો વધુ ભાવે આપી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવે છે. જે મામલે મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાને ખ્યાલ નથી કે જે રેલવે ઓવરબ્રિજના સૌથી મોટા કામ છે. તેમાં એક પણ રૂપિયો કોર્પોરેશનને ખર્ચ કરવાનો નથી. બીજા જે કામો છે. તેમાં ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો વચ્ચે પૂરતી હરિફાઈ અને પારદર્શિતા રીતે જ ટેન્ડરની કામગીરી થઈ છે. (File photo)