Site icon Revoi.in

નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી એક મહિનો વહેલું અપાશે

Social Share

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.15મી મે, 2025થી આપવાનો નિર્ણય કર્યો છે.

સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.15મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તા.15 જૂનને બદલે તા.15મી મે એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના કિસાન હિતકારી નિર્ણયને પગલે ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરૂં આયોજન ખેડૂતો કરી શકશે. એટલું જ નહિં, ઉત્પાદન વધારા માટે આગોતરી વાવણી પણ કરી શકશે.

આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે 13 લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે તેમજ વધુ ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કિસાન હિતકારી આ વધુ એક નિર્ણય લઈને ખેડૂતોની પડખે સદાય ઉભી રહેતી સરકારની અનુભૂતિ લાખો કિસાનોને કરાવી છે.