
અમદાવાદઃ ઉનાળાના આકરા તાપમાનમાં શહેરીજનો સેકાય રહ્યા છે.શહેર અસહ્ય ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનાના 23 દિવસમાં ઝાડા ઊલટીના કેસોમાં ઉછાળો નોંધાયો છે. શહેરમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તાર અને કોટ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના વધુ કેસ નોંધાયા છે.
મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બહેરામપુરા વિસ્તારમાં સીમા રો હાઉસમાં કમળાનો કેસ નોંધાયો છે. જેના પગલે મ્યુનિની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમળા અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે. એપ્રિલ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમા 205 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફીટ નોંધાયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિના કરતા ચાલુ એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા, ઊલટી, અને કમળાના કેસો વધુ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તાર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના 944 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 205 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.