
અમે સત્તા માટે ક્યારેક ગદ્દારી કરી નથી અને ક્યારેય કરીશું નહીંઃ શિવસેનાના નારાજ નેતા એકનાથ શિંદે
મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરનારા શિવસેનાના ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે સત્તા માટે ક્યારે ગદ્દારી કરી નથી અને ક્યારેય ગદ્દારી કરીશું નહીં. શિંદે ઉપરાંત અન્ય 29 ધારાસભ્યો પણ ઠાકરે સરકારથી નારાજ હોવાનું હાલ સુરતની એક હોટલમાં રોકાયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદેને વિધાયક દળના નેતાના પદેથી હટાવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ તેમના સ્થાને સેવરીના ધારાસભ્ય અજય ચૌધરી શિવસેના વિધાયક દળના નવા નેતા બનાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
મહારાષ્ટ્ર સરકાર સામે ભલવો કરનારા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમે બાલાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાલાસાહેબે અમને હિન્દુત્વ શિખવાડ્યું છે. બાલાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દીધે સાહેબની શિક્ષાને પગલે અમે સત્તા માટે ક્યારેક ગદ્દારી કરી નથી અને ક્યારેય કરીશું નહીં. મહત્વનું છે કે, શિવસેનાના નેતા એકનાથ શિંદે સહિત 30 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં બેઠકનો દોર શરૂ થયો છે. તેમજ સરકાર બચાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. દરમિયાન ભાજપના ધારાસભ્ય સુરત દોડી ગયા હતા. તેમજ શિવસેનાના ધારાસભ્યોએ જે હોટલમાં રોકાયાં હતા ત્યાં ગયા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો છવાયાં છે, તેમજ શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હોવાનું જાણવા મળે છે.