
વેક્સિન લીધી ન હોય તેવા વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષામાં બેસવા દેવાશે કે કેમ ?
અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવા મંજૂરી તો આપી છે પરંતુ સાથે સાથે કેટલાક નિયમો પણ જાહેર કર્યા છે, જેમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષાનું આયોજન કરતા પહેલા તમામ યુનિવર્સિટીઓ અને કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓએ વેક્સિન લીધી હોવાનું સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા વેક્સિન લઇ લીધેલી હોવી જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 8 જુલાઈથી પ્રથમ તબક્કામાં 30 હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. ત્યારે વેક્સિન લેનારા વિદ્યાર્થીને જ પરીક્ષામાં પ્રવેશ અપાશે, વેક્સિન નહીં લીધી હોય તો પરીક્ષા આપી શકશે કે કેમ તે અંગે યુનિવર્સિટીએ કોઈ સ્પષ્ટતા નહીં કરતા વિદ્યાર્થીઓ પણ મૂંઝાયા છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે ખાનગી-સરકારી યુનિવર્સિટીઓ સ્નાતક કક્ષાના ફાઈનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ-2021 દરમિયાન ઓફલાઈન પરીક્ષા લઇ શકશે.
પરીક્ષાનું આયોજન કરતા પહેલા દરેક યુનિવર્સિટી અને કોલેજે ફરજિયાત વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરીને પરીક્ષાર્થીઓના વેક્સિનેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી 8 જુલાઈથી શરૂ થતી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને પરીક્ષામાં બેસવા દેવાશે કે કેમ તે અંગે યુનિવર્સિટી હજુ અવઢવમાં છે, કોઈ સ્પષ્ટતા કરી નથી.