
પાલનપુરઃ બનાસ ડેરી એ સૌથી મોટી ડેરી છે. અને ડેરી દ્વારા પશુપાલકો અને ખેડુતોના લાભ માટે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે. હવે જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે બુધવારે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં 100 જેટલા તળાવ બનાસ ડેરી દ્વારા લોકભાગીદારીથી ઊંડા કરાશે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાની તાજેતરમાં મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લાના સાણાદર ખાતે 75 તળાવ જળ સંચય અભિયાન માટે આહ્વાન કર્યું હતું. અને પીએમની જળસંચય અભિયાનને વેગ આપવાની શીખને સાર્થક કરવાનું બનાસડેરી અભિયાન આદર્યું છે. અને 75 નહીં પણ 100 તળાવો ઊંડા કરાશે. જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની પણ સમસ્યા છે. આ તમામ સમસ્યાઓના નિરાકરણને લઈને બનાસડેરી દ્વારા જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત બુધવારે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામેથી આ જળ સંચય અભિયાન ખુલ્લું મુકીને કરાઇ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યા છે, પાણીના તળ નીચા ગયા છે. ત્યારે જળાશયોમાં પાણી ન હોવાના કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા છે. જો કે દાંતીવાડા તાલુકાના જળસંચય અભિયાન થકી તળાવ ઉંડુ કરવાની પ્રક્રિયા હાથ ધરાતાં ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે વરસાદ સારો આવશે અને આ તળાવ ભરાશે. જેનાથી ખેડુતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ નહિ પડે. બનાસ ડેરી દ્વારા જનભાગીદારીથી અન્ય તાલુકામાં પણ જળસંચયના કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. ચોમાસાના આગમનને હવે 20થી 25 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે સોમાસા પહેલા જળસંચયના કામો પૂર્ણ થઈ જાય તે પણ જરૂરી છે.