મહિલા અનામત બિલ કરોડો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિબિંબઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: દેશના મહિલા આરક્ષણ બિલ મુદ્દે સંસદથી શેરીઓ સુધી ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ માટે લખેલા વિશેષ લેખમાં જણાવ્યું છે કે, મહિલા અનામત બિલ માત્ર એક કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ તે કરોડો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે ભારતની નારી શક્તિ પ્રગતિ કરે.
પીએમ મોદીએ લખ્યું કે, “આ નિર્ણય મહિલાઓની રાજકીય ભાગીદારીને નવી શક્તિ આપશે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓનું યોગ્ય સ્થાન સુનિશ્ચિત કરવું એ સમયની માંગ છે.” આગામી 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. આ સત્રમાં મહિલા અનામતના અમલીકરણને વેગ આપતા મહત્વપૂર્ણ સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે મહિલાઓ વહીવટ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થાય છે, ત્યારે તેઓ તેમના અનુભવો અને સૂઝ દ્વારા સુશાસનની ગુણવત્તામાં વધારો કરે છે. પીએમએ તમામ પક્ષોને પક્ષપાતી રાજકારણથી ઉપર ઉઠીને આ બિલને સમર્થન આપવા અપીલ કરી છે, જેથી 2029ની લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજી શકાય.
લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીમાંકન બાદ લોકસભાની કુલ બેઠકો 543 થી વધીને 816 થઈ શકે છે, જેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત હશે. આ 33% અનામતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે પણ આંતરિક ક્વોટાની જોગવાઈ છે.


