અમદાવાદ, 25 માર્ચ 2026: Fake notes scam સુરતમાં યોગાશ્રમ ચલાવીને નકલી નોટ્સનું રેકેટ ચલાવતો યોગગુરૂ પ્રદીપ સહિત 7 શખસોને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા બે કરોડની ફેક નોટ્સ સાથે ઝડપી લીધા હતા. આ તમામ શખસોને પોલીસે રિમાન્ડ પર લેતા ચોંકાવનારી માહિતી મળી છે. યોગગુરૂ પ્રદીપ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એજન્ટોને એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી નોટો આપતો હતો.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોગ ગુરુ પ્રદીપ સહિતના આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે અનેક મોટા ખુલાસા થયા હતાં. પ્રદીપે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી નોટો છાપવાની કાવતરું 6 મહિના અગાઉ ઘડ્યું હતું. પોતાના આર્થિક ફાયદા માટે પ્રદીપે અશોક માવાણી નામના આરોપીના ઘરે તમામને સાથે રાખીને મિટિંગ કરી હતી. પ્રદીપે નકલી નોટો છાપીને જે નફો થાય તેમાં 50 ટકા નફો લેવાનું નક્કી કર્યું હતું જ્યારે બાકીનો 50 ટકા નફો અન્ય આરોપીને સરખે ભાગે વેચી દેવાનો હતો.આરોપીઓએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે એક લાખની અસલી નોટો સામે ત્રણ લાખની નકલી નોટો આપવાની હતી. જેથી 33% નફો થાય. આરોપીઓ પાસેથી 2.48 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. જોકે આરોપીઓએ 10થી 12 લાખ રૂપિયાની નકલી નોટો વેચી દીધી હોવાનું પણ સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પ્રદીપ ગુરુના મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે ટ્રસ્ટનું એકાઉન્ટ ચાર વર્ષથી એક્ટિવ નથી. પ્રદીપ ગુરુ દાનની રકમ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લેતો હતો અને તેનો ઉપયોગ પણ પર્સનલ કામ માટે કરતો હતો. હાલ પ્રદીપ ગુરુની મિલકત કેટલી છે તેની પર તપાસ કરવામાં આવી રહી છે. પ્રદીપે ગાડીમાં આયુષ મંત્રાલય લખાવ્યું હતું તેની કલમ પણ ઉમેરવામાં આવશે.

