નવી દિલ્હીઃ સાંસ્કૃતિક વૈભવનું પ્રતીક ગણાતા ગણેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશના આગમનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, સરઘસ અને પરંપરાગત ઢોલ-નગારા સાથે કરવામાં આવી રહી છે. આ ઉત્સવ આગામી 11 દિવસ સુધી અનંત ચતુર્દશી સુધી ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં લોકો આનંદ અને ઉત્સાહ સાથે તેમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કામના કરી છે કે આ શુભ અવસર દરેકના જીવનને ભક્તિ અને શ્રદ્ધાથી ભરી દે અને સારા સમાચાર લાવે. તેમણે પ્રાર્થના કરી કે ભગવાન ગણેશ તેમના ભક્તોને સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપતા રહે.