1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા પક્ષીઓ માટે 10,000 માટીનાં કૂંડાનું પ્રા. શાળાઓને કરાયું વિતરણ
બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા પક્ષીઓ માટે 10,000 માટીનાં કૂંડાનું પ્રા. શાળાઓને કરાયું વિતરણ

બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા પક્ષીઓ માટે 10,000 માટીનાં કૂંડાનું પ્રા. શાળાઓને કરાયું વિતરણ

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આકરા ઉનાળામાં પંખીઓને પીવાનું પાણી મળી રહે તે માટે  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીવ દયાનું કામ કરવામાં આવ્યું છે. અને સંઘ દ્વારા જિલ્લાની 2348 શાળાઓમાં 10,000 થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માટે માટીના કુંડા મુકવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનો સંચાર થાય, સંસ્કારોનું સિંચન થાય ,જીવદયાની લાગણીમાં વધારો થાય તથા પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધની ભાવના કેળવાય તે હેતુથી અબોલ પક્ષીઓને પાણી પીવા માટે કુંડા લગાવી તેમાં પાણી નાખી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સમગ્ર ટીમ હંમેશા રચત્નાત્મક કાર્યક્રમો કરતા રહે છે, જેમાં અંબાજી પદયાત્રા, જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, ભવ્ય કલામંચ તેમજ ચબુતરા અભિયાન, ખેત તલાવડી અભિયાન, બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહક ઇનામોમાં વધુ સહયોગ કરનાર સૌ દાતાઓને જિલ્લા સંગઠન દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવું જેવા કાર્યો કરવામાં આવે છે. આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના યુવા પ્રમુખ સંજયભાઈ દવે, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક જી.કે.ગઢવી, ભીખુસિંહ પરમાર ,પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ જોશી, મીડિયા કનવીનર અશ્વિનભાઈ દરજી તેમજ બી.આર.સી કોઓર્ડીનેટર હાજર રહ્યા હતા.

આ અંગે ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશ્વિનભાઈ પટેલે જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ સંગઠનના કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી જીવદયાની આ કાર્યવાહીથી શિક્ષકો અને બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન તેમજ જીવદયા કરુણાની ભાવના કેળવાશે. જ્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે જણાવ્યું હતું કે, આમ તો મંડળો શિક્ષકોના પ્રશ્નો અંગે કામગીરી કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે સમાજ માટે, બાળકો માટે અને શિક્ષણ માટે નવા અભિગમ સાથે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code