Site icon Revoi.in

સુરતના પાંડેસરામાં 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો

Social Share

સુરત, 05 માર્ચ 2026: 1401 kilograms of suspicious cheese seized રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે હવે પોલીસ તંત્ર પણ સક્રિય બન્યુ છે. ત્યારે સુરતના પાંડેસરામાં પોલીસની એસઓજી તથા મ્યુનિની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડો પાડીને  પનીર બનાવતા કારખાનામાંથી 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો અને મશીનરી સહિત કુલ 28,44,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તહેવારો ટાણે જ આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ પનીર પકડાતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના બાદ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને SOG પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. ટીમે પાંડેસરા વિસ્તારમાં ભીડભંજન સોસાયટી ખાતે ગાળા નંબર 278માં ચાલતા કારખાનામાં રેડ કરી હતી. દરોડા દરમિયાન કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા હતા.  તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

શંકાસ્પદ પનીર બનાવતા કારખાનામાં તપાસ કરતા પોલીસને 1401 કિલો કથિત નકલી પનીર મળ્યું હતું, જેની કિંમત આશરે 3,08,220 થાય છે. આ ઉપરાંત પનીર બનાવવા માટે વપરાતી આધુનિક મશીનરી જેવી કે પેશ્ચરાઈઝ મશીન, હોમોનાઈઝર અને સ્ટોરેજ પ્લાન્ટ પણ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 25,00,000 આંકવામાં આવી છે. ફક્ત આટલું જ નહીં, ત્યાંથી પામોલીન તેલના 28 ખાલી ડબ્બા અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા.

રેડ દરમિયાન કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા (ઉંમર 40) હાજર મળી આવ્યો હતો. મહેશકુમાર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ અલથાણ વિસ્તારમાં A-303, કેશવ હાઈટ્સમાં રહે છે. તેની કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યો છે. તે દરરોજ આશરે 400 કિલો પનીર બનાવીને શહેરની અલગ-અલગ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો.  તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી પનીર બનાવીને તેના પર “NON BRAND LOOS ANALOGUE PANEER” ના સ્ટીકર લગાવતો હતો. સ્થળ પરથી આવા 3000 સ્ટીકરો મળી આવ્યા છે. આ પનીર તે માત્ર 220 પ્રતિ કિલોના ભાવે વેચતો હતો. સામાન્ય રીતે શુદ્ધ પનીરના ભાવ કરતા આ ભાવ ઓછા હોવાથી અનેક લોકો છેતરાતા હતા. પોલીસે સ્થળ પરથી 1000 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ પનીરના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં તમામ જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટમાં જો પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે, તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version