
રાજ્યમાં 17 પ્રાથમિક શિક્ષકોએ બદલી માટે બોગસ તબીબી સર્ટી રજુ કર્યાઃ સરકારે CIDને સોંપી તપાસ
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે તાલુકા અને જિલ્લા લેવલે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. કેટલાક શિક્ષકો બદલી માટે તબીબોના બોગસ સર્ટીફિકેટ રજુ કરીને પોતાની બદલી કરાવી લેતા હોય છે. આ સંદર્ભે ફરિયાદો ઉઠતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લાફેર બદલી માટે ખોટા તબીબી સર્ટીફીકેટ રજુ કરાતા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ કેસોમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની મંજુરી સાથે સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાક્રમને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ સર્જાયો છે.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો રાજય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.
તેમણુ ઉમેર્યુ હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શી સરકારે ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે અનેકવિધ પગલાઓ ભર્યા છે અને સંબધિત અધિકારી- કર્મચારી સામે કડક હાથે કાર્યવાહી કરીને પગલાઓ લીધા છે.મંત્રીશ્રી જાડેજાએ ઉર્મેયુ કે રાજયના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી. તેવા સંજોગોમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય કરાયો છે.
રાજયના આઠેક જેટલા જિલ્લાઓના સત્તર જેટલા શિક્ષકો સામે એફ.આઇ.આર. દાખલ કરવા શિક્ષણમંત્રીશ્રી દ્વારા મંજૂરી અપાતા તેમની સામે સંકલિત તપાસ કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ત્વરીત કામગીરી હાથ ધરશે.તેમણે ઉમેર્યુ કે વિદ્યાથીઓના ભાવી સાથે ચેડા કરનાર આ સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબિબિ પ્રમાણપત્રો રજૂ કરી જિલ્લા ફેરની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.