- બાળકો પાસે બાળમજુરી કરાવાયા બાદ મકાનમાં ગોંધી રખાતા હતા,
- કેટલાક બાળકો પર ઈજાના નિશાન જોવા મળતા મેડિકલ ચેકઅપ કરાયું,
- પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી
રાજકોટઃ શહેરમાં કેટલાક કારખાનામાં કામ કરતા બાળ શ્રમિકોને મુક્ત કરાવવાની ઝુબેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના બેડીચોક નજીક ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1 ખાતેથી એક મકાનમાંથી ગોંધી રખાયેલા 19 બાળમજૂરોને મુક્ત કરાવાયા હતા. બાળકોને મુક્ત કરાવાયા બાદ તમામ બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા. બાળકો સાથે કોઈ મારકૂટ કરવામાં આવતી હતી કે કેમ એ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી હોવાથી છેલ્લા એકાદ મહિનાથી તમામ બાળકોને અલગ જગ્યાએ ભાડે રાખી દેવામાં આવ્યાં હતાં અને આ બાળકો પાસે ઇમિટેશનની કામગીરી કરાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં થોડા સમય પહેલાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ દરમિયાન રાજકોટ શહેર SOG પોલીસ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિક પોલીસ ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી બાળકોને રાજકોટમાં લાવી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. આ પછી પોલીસ તપાસ શરૂ થતાં ઠેકેદાર દ્વારા બાળકોનું રહેણાક બદલી દેવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ રાખવામાં આવ્યાં હતાં. ત્યારબાદ માહિતી મળતાં પોલીસ ટીમ રાજકોટના બેડી ચોક નજીક આવેલા ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1માં આવેલા બ્લોકનંબર જી-33માં પહોંચી તપાસ કરતાં એક મકાનમાં 19 બાળક મળ્યાં હતાં. આ બાળકોમાં 2 બાળકની ઉંમર 14 વર્ષથી પણ ઓછી હતી, જ્યારે 5 બાળકની ઉંમર 18 વર્ષ તેમજ એકની ઉંમર 19 વર્ષ અને 23 વર્ષ હતી, જ્યારે 12 બાળકની ઉંમર 14થી 17 વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે પ્રાથમિક તપાસ કરતાં આ તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું અને અહીં ઇમિટેશનનું કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. ઠેકેદાર તમામ બાળકોને અલગ અલગ સમયે છેલ્લાં 2 વર્ષમાં રાજકોટ લાવ્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઉપરાંત આજે જે જગ્યાએથી બાળક મળ્યાં એ ગોપાલ રેસિડેન્સીના બ્લોક નંબર જી-33ના મકાનમાલિકનું નામ બાબુભાઇ ગોલાભાઈ બાળા હોવાનું સામે આવ્યું છે તેમણે કોઈ ભાડા કરાર કર્યો હતો કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો ભાડા કરાર નહિ હોય તો અલગથી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસે બાળકોની તપાસ શરૂ કરી તો પોલીસને મોટા ભાગનાં બાળકોના શરીર પર હાથ તેમજ વાસાના ભાગે ઇજાનાં નિશાન જોવા મળ્યાં હતાં, જેથી બાળકોને માર મારવામાં આવતો હોવાની પણ શંકા હોવાથી પોલીસ દ્વારા અત્યારે તમામનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યુ છે. અને રિપોર્ટ આવ્યા બાદ અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.