- વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો,
- વનતારામાં આફ્રિકન અને એશિયાટિક મળી 180થી વધુ સિંહ, 150થી વધુ વાઘનો વસવાટ,
- અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે,
જૂનાગઢઃ શહેરના સક્કરબાગથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલવામાં આવ્યા છે. સરકારના વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફતે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને જામનગરના વનતારામાં ઉછેર માટે મોકલવામાં આવ્યા છે.
જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના નેતૃત્વમાં ચલાવવામાં આવતું ‘વનતારા’ એ વિશ્વનું સૌથી મોટું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે, અગાઉ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી સિંહોને ત્યાં મોકલવામાં આવ્યા હતા. એ પછી હવે ફરી ભારત સરકાર દ્વારા સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને વનતારામાં મોકલવા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને મંજૂરી આપતાં સિંહોને વનતારાનાં ખાસ વાહનો મારફત જૂનાગઢથી જામનગર ખસેડવામાં આવ્યા હતા. સક્કરબાગમાંથી અગાઉ દીપડાઓને પણ વનતારામાં મોકલ્યા હતા.
જામનગર નજીક ૩ હજાર એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા વનતારામાં બે હજારથી વધુ પ્રજાતિના દોઢ લાખથી વધુ પશુ- પક્ષી- પ્રાણીઓનો વસવાટ છે. તેમાં મુખ્યત્વે હાથી, દીપડા, વાઘ, સિંહ સહિતનાં પ્રાણીઓ છે. 180થી વધુ આફ્રિકન, એશિયન અને હાઈબ્રીડ સિંહો વનતારામાં છે, જ્યારે 250થી વધુ દીપડાઓ, 150થી વધુ વાઘનો સમાવેશ થાય છે. અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે. ત્યાં એમઆઈઆર, સિટીસ્કેન, આઈસીયુ, હાઈડ્રો થેરાપી જેવી અતિઆધુનિક સુવિધાઓ છે. વન્યજીવ સંરક્ષણના જ ઉદ્દેશ સાથે ભારતમાં બનેલું આવું કેન્દ્ર વિશ્વભરમાં બેજોડ છે.
કેન્દ્રના અને રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા અનેક શરતો સાથે સક્કરબાગમાંથી સિંહોને વનતારામાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો મોકલવામાં આવ્યા છે તેની માલિકી સરકારની રહેશે પરંતુ સિંહોનો ઉછેર વનતારામાં કરાશે. નોંધનીય છે કે રિલાયન્સ જેવા ઉદ્યોગગૃહ દ્વારા અર્થોપાર્જનની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય એ તો સમજી શકાય પરંતુ અનંત અંબાણી સંચાલિત વનતારા માત્ર વન્યજીવ સંરક્ષણના અને એના થકી પર્યાવરણનાં સંવર્ધનના ઉદ્દેશ સાથે જ ચલાવવામાં આવે છે. નૈસર્ગિક વિહારથી માંડીને શ્રેષ્ઠ ભોજન અને સુશ્રુષાનાં પણ અત્યાધુનિક સાધન- સુવિધા સાથેનું આવું પુનર્વસન કેન્દ્ર વિશ્વભરમાં બેજોડ ગણાવાય છે.

