1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 3.46 લાખ શિક્ષિત બેરાજગારો નોંધાયેલા છે, વિધાનસભામાં સરકારે આપી માહિતી
ગુજરાતમાં 3.46 લાખ શિક્ષિત બેરાજગારો નોંધાયેલા છે, વિધાનસભામાં સરકારે આપી માહિતી

ગુજરાતમાં 3.46 લાખ શિક્ષિત બેરાજગારો નોંધાયેલા છે, વિધાનસભામાં સરકારે આપી માહિતી

0
Social Share

ગાંધીનગર : ગુજરાતમાં પણ શિક્ષિત બેરોજગારોની ખૂબ મોટી સંખ્યા છે. કોઈપણ ભરતી હોય લાખોની સંખ્યામાં અરજીઓ આવતી હોય છે. જોકે અગાઉ સરકાર દ્વારા બેરોજગારી પર ઢાંકપીછોડો કરવામાં આવતો હતો. ત્યારે હવે વિધાનસભા ગૃહમાં ખુદ સરકાર દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે કે, રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જેમાં 17816 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં બેરોજગારો હોવા છતા સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરવામાં પણ સરકારને કોઈ રસ નથી. છેલ્લા 2 વર્ષ માં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. ભરૂચ, નર્મદા, તાપી સહિત 16 જિલ્લામાં એક પણ સરકારી નોકરી મળી નથી.

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સંકલિત પ્રશ્નોમાં સરકાર દ્વારા લેખિત જવાબ અપાયો હતો. જેમાં ગુજરાતમાં બેરોજગારોનો મોટો આંકડો સામે આવ્યો છે. સરકારે ગૃહમાં સ્વીકાર્યુ કે, રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જેમાં 17816 અર્ધ શિક્ષિત બેરોજગારો છે. સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં 26,921 હજાર લોકો છે. તો અમદાવાદ જિલ્લામાં 26,628, આણંદ જિલ્લામાં 22,515 અને રાજકોટ જિલ્લામાં 18977 હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. તો બીજી તરફ, લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. દરમિયાન કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતના બજેટમાં ક્યાંય નવી રોજગારી ઉભી કરવાની વાત  કરવામાં આવી નથી. ખાલી જગ્યા પર ભરતી કરવાની વાત ક્યાંય કરવામાં આવી નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં સ્થાનિકોને  રોજગાર આપવા મામલે મોટી કંપનીઓએ નિયમોનો ભંગ કર્યાનો પણ સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો હતો સરકારી આંકડા મુજબ, અમદાવાદ શહેર-જિલ્લામાં છેલ્લા 2 વર્ષ માં 3.50 લાખથી વધુ સ્થાનિકોને રોજગારી મળી છે. વર્ષ 2020માં 1,78,773 સ્થાનિકોને રોજગારી અપાઈ છે. વર્ષ 2021માં 1,97,302 સ્થાનિકોને રોજગારી અપાઈ છે. પરંતુ વર્ષ 2020 માં 16 એકમોએ સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વર્ષ 2021 માં 18 એકમોએ આ નિયમોનો ભંગ કર્યો છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સુઝુકી મોટર, ફોર્ડ ઈન્ડિયા, ટાટા મોટર્સ, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવા મોટા એકમોનો સમાવેશ થાય છે. સરકારના શ્રમ રોજગાર વિભાગે આવા એકમોને પત્ર પાઠવી નિયમોના અમલ માટે જાણ કરી હતી. રોજગાર ભરતી મેળા યોજી વધુ રોજગાર આપવા પ્રયાસ કર્યા છે. આવા એકમો સામે કાર્યવાહી કરવા ઉદ્યોગ કમિશનર કચેરીને જાણ કરવામાં આવ્યાનો સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એક તરફ બેરોજગારીનો આંકડો આપીને રાજ્ય સરકાર ખુદ સ્વીકારી રહી છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવામાં પણ સરકારને કોઈ રસ નથી. રાજ્યમાં માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં 50  ટકા કરતા વધુ જગ્યાઓ ખાલી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. સાથે જ વર્ગ-1 ની 20, વર્ગ-2 ની 503, વર્ગ-3 ની 2882 અને વર્ગ-4 ની 571 જગ્યાઓ ખાલી પડી છે. માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં 3675 જગ્યાઓ ભરાયેલી છે, જેની સામે 3976 જેટલી જગ્યાઓ ખાલી છે. માત્ર અડધા સ્ટાફથી ચાલતી કચેરીઓ માર્ગ મકાનના કામો કેટલી ઝડપથી અને કેવા કરતી હશે તેવો સવાલ કોંગ્રેસે ગૃહમાં ઉઠાવ્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code