
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખસને ઇસનપુર પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ કહેવાય છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. જે અંગે ઇસનપુર પોલીસને ચોક્કસ હકીકત મળતા રેડ કરી 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. અને ૩ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણે આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી ગેસ સિલિન્ડર ચંડોળા તળાવ પાસે રાખતા હતા અને ત્યાંથી જ અલગ અલગ જગ્યાએ વહેંચણી કરતા હતા ઝડપાયેલા આરોપી પૈકી રાજુ શ્રીવાસ મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સીના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડરમાંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા કમાતો હતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રીવાસ અને અજય યાદવ તેના જ પરિચિત મિત્રો હતા. જેઓ આ ગેસ સિલિન્ડરોને ખાલી કરી વેચવામાં મદદ કરતા હતા. હાલ તો પોલીસે 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જે કબ્જે કરાયેલ સિલિન્ડરની અંદાજિત કિંમત 5 લાખથી વધુની માનવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગેસ સિલિન્ડરના આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં ઈસનપુર પોલીસને સફળતા મળી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1500 થી 2000 રૂપિયામાં વેચવામાં આવતો હતો. ચંડોળા તળાવ પાસે આટલી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ મોટી હોનારત કે બનાવ બન્યો હોત તો તેના માટે જવાબદાર કોણ? બીજી તરફ આ ત્રણ આરોપીઓ સિવાય અન્ય લોકો પણ અમદાવાદના કયા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતા હતા. બીજા કયા આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.