ભરૂચઃ શહેરના ઝાડેશ્વર ખાતે આવેલી અરુણોદય બંગલોઝમાં રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનામાં તેમની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વને હજી એક સપ્તાહની વાર છે. જોકે તે પહેલાં જ પતંગના દોરાએ ભરૂચમાં એક મહિલાનો ભોગ લીધો છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગત જાણવા મળે છે કે, ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે તેના ઘરેથી એક્ટિવા પર 9 વર્ષની પુત્રી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પર થઇને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ અર્થે જવા નીકળી હતી. દરમિયાન ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં એક્ટિવા સ્લિપ થઇ ગયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી તેને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું. બીજી તરફ, તેની પુત્રી પણ માતાને લોહીલુહાણ જોઇને ખૂબજ રડવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. ઘટનાની જાણ કરાતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. ભરુચ એ ડિવિઝન પોલીસે આકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.