Site icon Revoi.in

ગુજરાતમાં 414 ખિલખિલાટ વાહનો સેવારત, સગર્ભા બહેનોને અપાતી નિશુલ્ક સેવા

Social Share

 

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબધ્ધ છે. આ ઉમદા હેતુમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે રાજ્ય સરકારનો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) . જેના અંતર્ગત 4 સપ્ટેમ્બર 2012 થી સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓ માટે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી.

વેસ્ટમાંથી બેસ્ટ અને રીયુઝની તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની પહેલ આજે કરોડો સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના જીવનમાં ખિલખિલાટ લાવી રહી છે. આ યોજના અંતર્ગત જાહેર આરોગ્ય સંસ્થામાં પ્રસુતિ પછી માતા અને નવજાત શિશુને આરોગ્ય સંસ્થાથી ઘરે પરત મુકવાની (ડ્રોપ બેક) મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ રાજ્યના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશનમાં કુલ 414  ખિલખિલાટ વાહન લાભાર્થીઓને નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મોટાભાગના ખિલખિલાટ વાહનો એક કરતા વધુ સુવિધા આપે છે.

નાણાકીય વર્ષ 2023-24માં 414 ખિલખિલાટ વાન દ્વારા 2.000થી વધારે હાઇ વર્ક લોડ આરોગ્ય સંસ્થાના (MCH, DH, SDH, CHC, PHC, UPHC) લાભાર્થીઓને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, પ્રસુતિ પહેલા (ANC) અને પ્રસુતિ પછીની (PNC) તપાસ અને સેવાઓ મેળવવા માટે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ઘરેથી આરોગ્ય સંસ્થા અને આરોગ્ય સંસ્થાથી ઘરે પીક અપ અને ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2012થી અત્યાર સુધીમાં કુલ 1,19,96,718 લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવી છે. જેમાં 50,43,110 સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, 12,03,694 ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને 32,66,360 નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેકની સેવાઓ અને 23,72,689  PNC માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.

વર્ષ 2023-24 દરમિયાન, “જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ કુલ 18.45,984 લાભાર્થીઓને ખિલખિલાટ વાહનો દ્વારા મફત પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં 9,78,477  સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, 3,10,201 ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને 3,99,254 નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેકની સેવાઓ અને 1,55,948 પોસ્ટનેટલ માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.

હાલ રાજ્યમાં 414 ખિલખિલાટ વાહનો સેવામાં કાર્યરત છે. જે રાજ્યની તમામ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મફત પરિવહન પ્રદાન કરવાથી લાભાર્થીઓ આરોગ્યસંભાળ સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત થાય છે.