મહેસાણા, 25 જુન, 2026 : 4766 kg of fake fennel colored with chemicals seized જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવાના શિવ ગંગા એસ્ટેટમાં કેમિકલ કલર ભેળવીને આર્ટિફિશિયલ વરિયાળી બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો છે. ફૂડ વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 8,67,880ની કિંમતનો 4766 કિલોગ્રામ ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે.
મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ચોક્કસ બાતમી મળી હતી કે ઉનાવા વિસ્તારમાં નકલી વરીયાળી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાની ટીમે ઉનાવા ખાતે શનિદેવ મંદિર પાસે આવેલા શિવગંગા એસ્ટેટના એક ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નીમ કુમાર ગોવિંદભાઈ પટેલ નામના વેપારીના ગોડાઉનમાં મોટા પાયે બનાવટી કલરવાળી વરીયાળી બનાવવાની પ્રવૃત્તિ રંગેહાથ પકડાઈ હતી.
ફુડ વિભાગના અધિકારીના કહેવા મુજબ સ્થળ પર સસ્તી અને ગુણવત્તા વગરની વરીયાળી અથવા તેના પાલા પર કૃત્રિમ લીલો રંગ લગાવી તેને પ્રીમિયમ ક્વોલિટીની દર્શાવવાનો ખેલ ખેલાતો હતો. વરીયાળીને વધુ આકર્ષક, ગ્રીન અને ચમકદાર બનાવી તેને ‘વી.ની. ગોલ્ડ વરીયાળી’ બ્રાન્ડન 1 કિલોગ્રામના આકર્ષક પેકિંગમાં પેક કરવામાં આવતી હતી. આ ભેળસેળયુક્ત માલ બજારમાં વેચાણ થાય અને લોકોના રસોડા સુધી પહોંચે તે પહેલાં જ ફુડ સેફ્ટી ઓફીસર ઉમંગભાઈ રાવલ અને તેમની ટીમે સઘન તપાસ કરીને બાકીનો તમામ જથ્થો જપ્ત કરી લીધો હતો. સ્થળ પરથી ‘વી.ની. ગોલ્ડ વરીયાળી’ના 1 કિલોના 15 કટ્ટા અને અન્ય 26 નંગ મળીને કુલ 4,766 કિલોગ્રામ વરીયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 8,57,880 જેટલી થાય છે. તંત્ર દ્વારા આ વરીયાળીના નમૂના લઈને પ્રયોગશાળામાં આગળની પૃથ્થકરણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

