- રથયાત્રા પૂર્વે પોલીસનું સર્ચ ઓપરેશન,
- મકાનો કે દૂકાનો પણ કરાર વિના ભાડે આપી હશે તો પગલાં લેવાશે,
- પોલીસે દરેક વિસ્તારમાં શરૂ કરી તપાસ
અમદાવાદઃ પરપ્રાંતના અનેક લોકો નોકરી-ધંધા અને રોજગારી મેળવવા માટે અમદાવાદમાં આવીને સ્થાયી થઈ રહ્યા છે. અને પ્રથમ ભાડાના મકાનમાં રહેતા હોય છે. મકાનમાલિકો લીવ એન્ડ લાયસન્સ હેઠળ ભાડા કરાર કરીને પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવતા હોય છે. જ્યારે ઘણાબધા મકાન માલિકો ભાડા કરાર વિના મકાન ભાડે આપી દેતા હોય છે. અને પોલીસને પણ જાણ કરતા નથી. આથી પોલીસે કરાર વિના ભાડે આપતા મકાનમાલિકો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં પોલીસે 500 જેટલા મકાનમાલિકો સામે ફરિયાદ નોંધી છે.
શહેરમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્વારા સંપુર્ણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.છેલ્લા 15 દિવસમાં શહેર પોલીસે 500થી વધુ મકાન માલિકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. મકાનમાલિકોએ ભાડાકરાર વગર ભાડુઆતોને મકાન રહેવા માટે આપ્યુ હતું. પોલીસે કમીશ્નરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.આવનારા દિવસોમાં હજુ પણ વધુ ગુનો નોંધાય તેવી શક્યતાઓ છે.
અમદાવાદ શહેરમાં આગામી તા. 27 જુન 2025ના રોજ રથયાત્રા નિકળશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. રથયાત્રા શાંતિપુર્ણ પુરી થાય અને કેટલાક વિધ્ન સંતોષીઓના ઇરાદા પર પાણી ફેરવાઇ જાય તે માટે પોલીસે માઇક્રોલેવલનું પ્લાનીગ કર્યુ છે. આ વખતે અમદાવાદ પોલીસે મકાન માલીકો સામે પણ કાર્યવાહી કરી છે. શહેર પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે ભાડા કરાર વિના રહેતા ભાડુઆતોને શોધી કાઢવા તેમજ મકાન માલીકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસ કમીશ્નરના આદેશ બાદ શહેર પોલીસ ઠેરઠેર કેસો નોંધવાનું શરૂ કર્યુ હતું. ભાડુઆત કરાર કર્યો વિના દૂકાનો ભાડે આપી હશે તે પણ પગલાં ભરાશે.