સિક્કિમમાં ટનલ ધસી પડતાં 8 મજૂરોના મોત, મિથેન ગેસ લીકેજથી રેસ્ક્યૂ ઓપરેશન ખોરવાયું
ગંગટોક, 21 જુલાઈ 2026: સિક્કિમના નામચી જિલ્લામાં સમરડુંગ સ્થિત એનએચપીસીની તીસ્તા સ્ટેજ-૬ જળવિદ્યુત પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં મંગળવારે એક ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. પટેલ એન્જિનિયરિંગ કંપની દ્વારા તૈયાર કરાઈ રહેલી આ ટનલમાં અચાનક મોટો કાટમાળ ધસી પડતાં કામ કરી રહેલા અનેક મજૂરો અંદર ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠેક શ્રમિકોના મોત થયાનું જાણવા મળે છે, જ્યારે અન્ય મજૂરો અંદર ફસાયા હોવાની આશંકા વચ્ચે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. મૃતકોના શ્રમજીવીઓના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ઘટના બાદ ટનલની અંદરથી ઝેરી મિથેન ગેસનું લીકેજ શરૂ થઈ ગયું છે, જેના કારણે રાહત અને બચાવ કાર્ય અત્યંત જોખમી બની ગયું છે. નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ગેસ મોનિટરિંગ સિસ્ટમ અને વિશેષ સુરક્ષા ઉપકરણોની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ દુર્ઘટના સમયે ટનલમાં આશરે 27 મજૂરો હાજર હતા. સુરક્ષિત બહાર આવેલા મજૂરોના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલન થતાં પહેલાં ટનલની અંદર ધડાકા જેવો મોટો અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. હાલ તંત્ર દ્વારા અંદર ફસાયેલા અન્ય શ્રમિકોને સલામત બહાર લાવવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે.


