- પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો વાર
- ભારત સરકાર જવાબ આપે કે પેગાસસ ખરીદ્યું છે કે નહીં?
- પેગાસસ હથિયારનો ઉપયોગ ભારતના લોકો પર કરવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી: હાલમાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા સહિતના મુદ્દાઓ પર હોબાળો મચી રહ્યો છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં આશરે 1 ડઝન પાર્ટીઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધિત કર્યું હતું.
આ દરમિયાન કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા કે, સંસદમાં વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે, અમારો માત્ર એક જ સવાલ છે કે, શું દેશની સરકારે પેગાસસને ખરીદ્યું છે કે નહીં? શું સરકારે પોતાના જ લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો છે કે નહીં?
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશમાં મારા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ, મીડિયા અને અન્ય લોકો વિરૂદ્ધ પેગાસસના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. સરકારે આવું શા માટે કર્યું તેનો જવાબ આપે. અમે સંસદને ચાલતી અટકાવી નથી રહ્યા, પરંતુ અમારો અવાજ બુલંદ કરવા ઈચ્છી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ વધુમાં કટાક્ષ કર્યો હતો કે, જે હથિયારનો ઉપયોગ આતંકીઓ વિરુદ્વ થવો જોઇએ તેનો ઉપયોગ અમારા વિરુદ્વ શા માટે થઇ રહ્યો છે. સરકાર જવાબ આપે કે પેગાસસ શા માટે ખરીદવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ભારત સરકારે ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસ દ્વારા અનેક લોકોના ફોન હેક કર્યા છે.