
અમદાવાદઃ ગુજરાતમાં બુધવારે સાંજે 8 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 166 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડ્યો હતો. સોરઠ પંઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ તરબોળ કર્યા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ સીસ્ટમ સક્રીય છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ ત્રણ દિવસ મેઘમહેર ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ સહિત અર્ધો ડઝન જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર, જામનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડએલર્ટ જારી કરાયુ છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે.
રાજ્ય હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવેલ હતું. કે, જામનનગર, પોરબંદર, દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં શુક્ર અને શનિવાર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ રેડ એલર્ટના પગલે આ જિલ્લામાં 8થી 10 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય મધ્યપ્રદેશ પર લો-પ્રેસર સર્જાયુ છે. ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઓફશોર ટ્રફ છે, જે નોર્મલ પોઝીશન કરતા નીચે છે. આ સિવાય અરબી સમુદ્રમાંથી મજબૂત પશ્વિમી પવનો ફુંકાઈ રહ્યા હોવાથી ચોમાસુ સીસ્ટમને જોર મળ્યું છે. ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જારી કરાયા ઉપરાંત કોંકણ તથા મધ્ય મહારાષ્ટ્ર માટે શુક્રવાર સુધીનું રેડએલર્ટ અપાયુ છે. ગોવા, કર્ણાટક, હિમાચલ તથા ઉતરાખંડ માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોરબંદર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા માટે અતિભારે વરસાદનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. જયારે અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર તથા ગીર સોમનાથ અને કચ્છ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આગાહી કરવામાં આવી છે. ત્યાં 2 થી 8 ઇંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવા ઉપરાંત સંબંધીત સરકારી વિભાગોને પણ સ્તબ્ધ કરવામાં આવ્યા છે.