IPL 2026માં રહેમાનની વાપસીની અટકળો ઉપર BCBએ મુક્યો પૂર્ણવિરામ
નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને બહાર કરવામાં આવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. એટલું જ નહીં સુરક્ષાનું કારણ આગળ ધરીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 વિશ્વકપ ભારતની બહાર રમાડવા માંગણી કરી હતી. જો કે, વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી આઈસીસી દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની માંગણી ફગાવી હતી. આ દરમિયાન એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, BCCI બાંગ્લાદેશી ખેલાડી રહેમાનને ફરીથી આઈપીએલ રમાડવા બાબતે વિચારી રહી છે. જો કે, તમામ ચર્ચાઓ ઉપર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે પૂર્ણ વિરામ મુકી દીધો છે. તેમણે કહ્યું હતું કે, બીસીસીઆઈ સાથે રહેમાનને આઈપીએલ રમાડવા મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બીસીસીઆઈ બાંગ્લાદેશી બોલર મુસ્તાફિઝુર રહેમાન અંગે લેવાયેલા નિર્ણય ઉપર ફરીથી વિચાર કરી રહી છે. જેથી રહેમાનની આઈપીએલમાં વાપસીની શકયતા છે. જો કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બીસીસીઆઈ અને બીસીબી વચ્ચે આ મુદ્દો કોઈ ચર્ચા થઈ નથી. રહેમાનને લઈને કરવામાં આવી રહેલા દાવાઓ ખોટા છે. આમ અમીનુલ ઈસ્લામના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આઈપીએલની આગામી સિઝનમાં રહેમાન ક્રિકેટના મેદાનમાં રમતો જોવા નહીં મળે.
આઈપીએલની ફ્રેન્ચાઈઝ કેકેઆરએ હરાજીમાં રહેમાનને રૂ. 9.20 કરોડમાં ખરીદ્યો હતો. બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યારને પગલે ભારતીયોમાં રોષ ફેલાયો હતો અને રહેમાનને આઈપીએલમાંથી દૂર કરવાની માંગણી કરી હતી. દરમિયાન બીસીઆઈએ તાજેતરમાં નિર્ણય લઈને રહેમાનને ટીમમાંથી હટાવવા માટે કેકેઆરને સૂચના આપી હતી. જેથી કેકેઆરએ ટીમમાંથી રહેમાનને પડતો મુક્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે ક્રિકેટને લઈને રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં બાંગ્લાદેશે પોતાના દેશમાં આઈપીએલના પ્રસારણ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.


