1. Home
  2. ગુજરાતી
  3. અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: EDના 12 સ્થળોએ દરોડા
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: EDના 12 સ્થળોએ દરોડા

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: EDના 12 સ્થળોએ દરોડા

0
Social Share

મુંબઈ, 6 માર્ચ 2026: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે વહેલી સવારથી અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર કંપનીના વિવિધ ઠેકાણાઓ પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈ અને હૈદરાબાદ સહિત દેશભરના અંદાજે 10 થી 12 સ્થળોએ EDની 15 ટીમો દ્વારા તપાસની કાર્યવાહી હાલમાં પણ જારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) સાથે જોડાયેલા બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં રિલાયન્સ પાવર સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત 25 ફેબ્રુઆરીએ EDએ મોટી કાર્યવાહી કરતા મુંબઈના પાલી હિલ સ્થિત અનિલ અંબાણીના આલીશાન નિવાસસ્થાન ‘અબોડ’ ને હંગામી ધોરણે જપ્ત કર્યું હતું. આ મિલકતની અંદાજિત કિંમત 3716.83 કરોડ રૂપિયા છે. આ સાથે જ આ ગ્રુપની અત્યાર સુધી જપ્ત કરાયેલી કુલ સંપત્તિનું મૂલ્ય 15700 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. EDના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ  હેડક્વાર્ટર દ્વારા મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ, ૨૦૦૨ હેઠળ આ એક્શન લેવામાં આવી હતી. અગાઉ આ જ મિલકતનો 473.17 કરોડ રૂપિયા સુધીનો હિસ્સો એટેચ કરવામાં આવ્યો હતો.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, RCom અને તેની ગ્રુપ કંપનીઓએ દેશી અને વિદેશી બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ પાસેથી જંગી લોન લીધી હતી. હાલમાં પણ આ કંપનીઓ પર અંદાજે 40185 કરોડ રૂપિયાનું દેવું બાકી છે, જેમાંથી મોટાભાગના ખાતા NPA (નોન-પરફોર્મિંગ એસેટ) જાહેર થઈ ચૂક્યા છે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાલી હિલની આ કિંમતી મિલકતને એક ખાનગી ફેમિલી ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જે અનિલ અંબાણીના પરિવારના સભ્યો સાથે જોડાયેલું છે. EDનું માનવું છે કે, આ કોર્પોરેટ પુનર્ગઠન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવો ભ્રમ ઊભો કરવાનો હતો કે આ મિલકત સાથે અનિલ અંબાણીનો કોઈ સીધો સંબંધ નથી.

EDના મતે, આ વ્યવસ્થા સંપત્તિના રક્ષણ અને સંસાધન સર્જન માટે કરવામાં આવી હતી જેથી અનિલ અંબાણીએ RCom ને મળેલી બેંક લોન સામે આપેલી ‘પર્સનલ ગેરંટી’ની જવાબદારીઓમાંથી બચી શકાય. જ્યારે સરકારી બેંકોના હજારો કરોડ રૂપિયા ફસાયેલા છે, ત્યારે આ મિલકતનો વાસ્તવિક ઉપયોગ અને લાભ અંબાણી પરિવાર જ લઈ રહ્યો હતો. આ ગેરરીતિઓને ધ્યાને રાખીને હવે EDએ તપાસનો વ્યાપ વધાર્યો છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ એશિયામાં વિમાની સેવાઓ ખોરવાઈ: 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code