આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો રિયલ જીડીપી ગ્રોથ વધારીને 7.6 ટકા કર્યો
નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: ભારતીય રિઝર્વ બેંકે (RBI) નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો આર્થિક વિકાસ દર વધારીને 7.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉ 7.4 ટકા હતો. મજબૂત સર્વિસ સેક્ટર અને સ્થાનિક માંગને કારણે આ સુધારો કરવામાં આવ્યો છે. જોકે, ઈરાન યુદ્ધ અને વૈશ્વિક તણાવને કારણે ઊર્જાના વધતા ભાવને જોતા નાણાકીય વર્ષ 2027 માટે વિકાસ દર 6.9 ટકા રહેવાની ધારણા છે. આ સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 697.1 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે ભારતનો આર્થિક વિકાસ દર વધવા અંગે નવો અંદાજ જાહેર કર્યો છે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક જીડીપી ગ્રોથ 7.4 ટકાથી વધારીને 7.6 ટકા કર્યો છે, જોકે સાથે જ ભૂ-રાજકીય તણાવ સાથે જોડાયેલા જોખમો અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026ની આ વૃદ્ધિ મજબૂત સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગમાં વિસ્તરણ અને સ્થાનિક માંગને કારણે શક્ય બનશે, જે અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. નાણાકીય વર્ષ 2027 માટે આરબીઆઈએ જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે સંકેત આપે છે કે બાહ્ય જોખમો અને ખર્ચનું દબાણ વધવાથી વૃદ્ધિ દરમાં થોડી નરમાશ આવી શકે છે. આ માહિતી આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ આપી હતી.
નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ગ્રોથનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે બીજા ત્રિમાસિક ગાળાનો અંદાજ 7 ટકાથી ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. તેનું કારણ ઈરાન યુદ્ધને લીધે વૈશ્વિક સ્તરે વધતા દબાણને જણાવવામાં આવ્યું છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ઊર્જાના ભાવમાં તીવ્ર વધારાથી મોંઘવારીનો ખતરો વધી ગયો છે, જેની વૈશ્વિક વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે.”


