ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી
રાજપીપળા, 23 જૂન, 2026 – ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ દરમિયાન જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક, શિક્ષણવિદ્, પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નર્મદા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
૨૦૨૬નું વર્ષ જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક અને પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ભાજપાની કાર્યયોજના અનુસાર ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિન ૨૩ જૂનથી તેમની જન્મતિથિ ૬ જુલાઈ સુધી ભાજપા સંગઠન દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, તેમ ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં અનેક સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ
આ અંતર્ગત ૨૩ જૂન બલિદાન દિને રાજ્યના ૫૦ હજારથી વધુ બુથોમાં ભાજપાના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તેમના જીવનચરિત્ર અને રાષ્ટ્રસેવાના પ્રેરણાદાયી પ્રસંગોનું વાંચન પણ કરવામાં આવશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ૨૩ જૂને સવારે ‘શ્રી કમલમ નર્મદા‘, રાજપીપળા ખાતે શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પણ વાંચોઃ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું
૨૩ જૂનથી ૬ જુલાઈ દરમિયાન સંગઠનની યોજના અનુસાર જિલ્લા-મહાનગર સ્તરે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાશે જેમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન, રાષ્ટ્રહિત માટેની તેમની કામગીરી, “એક દેશ, એક નિશાન, એક વિધાન” પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા તેમજ જીવનસંઘર્ષ જેવા વિષયો પર પ્રદેશ સ્તરેથી નિયુક્ત વક્તા વ્યાખ્યાન આપશે.
આ ઉપરાંત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ, ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્રીય એકતાના વિચારોને આજની પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે ભાજપા યુવા મોરચા અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય શૈક્ષણિક કેન્દ્રો પર ‘વિદ્યાર્થી સંમેલન‘ યોજાશે.


