સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા
દમાસ્કસ, 11 ઓગસ્ટ 2026: દમાસ્કસની એક ફોજદારી અદાલતે સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા સંભળાવી છે.
સીરિયાના 14 વર્ષના સંઘર્ષમાં અંદાજે 5 લાખ લોકો માર્યા ગયા હતા. તેમના નાના ભાઈ માહેર અલ-અસદ જે સીરિયન સેનાના ભૂતપૂર્વ અધિકારી છે. તેમને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
અસદના પિતરાઈ ભાઈને પણ ફાંસીની સજા
આ જ કેસમાં અસદના પિતરાઈ ભાઈ આતિફ નજીબને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. નજીબ સીરિયન સેનામાં ભૂતપૂર્વ બ્રિગેડિયર જનરલ હતા અને 2011માં અસદના શાસનકાળ દરમિયાન તેમણે દક્ષિણ સીરિયાના દારા પ્રાંતમાં ‘પોલિટિકલ સિક્યુરિટી બ્રાન્ચ’ના વડા તરીકે સેવા આપી હતી.
તેમના પર દારા પ્રાંતમાં તે અભિયાનનું નેતૃત્વ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે બળવો થયો અને પરિણામે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.
માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત
અદાલતે ચુકાદો આપ્યો કે નજીબે 15વર્ષથી ઓછી વયના બાળકોની ઈરાદાપૂર્વક હત્યા કરી હતી અને તેમને એવી યાતનાઓ આપી હતી જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. અદાલતે જણાવ્યું કે તેના કૃત્યો માનવતા વિરુદ્ધના ગુના સમાન હતા અને તેને સૌથી કઠોર મૃત્યુદંડની સજા ફટકારી.
બશર અલ-અસદ તેમના પરિવાર સાથે ભાગી ગયા હતા મોસ્કો
ડિસેમ્બર 2024માં જ્યારે બળવાખોર દળોએ દમાસ્કસને ઘેરી લીધું, ત્યારે બશર અલ-અસદ તેમના પરિવાર સાથે મોસ્કો ભાગી ગયા. જોકે, નજીબ સીરિયામાં જ રહ્યા; ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી અને તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો.
વધુ વાંચો: નાઈજીરિયાના લાગોસમાં યોજાયેલી કોમનવેલ્થ અંડર-23 ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 17 મેડલ જીત્યા


