દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ? જીતુભાઈ વાઘાણી
- દેશના યુવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસના બેવડા વલણ, સિલેક્ટીવ પોલિટિક્સ અને અસંવેદનશીલતાને ઓળખી ચૂક્યા છે
ગાંધીનગર, 11 ઓગસ્ટ, 2026 – દિલ્હી અને ઝારખંડ માટે રાહુલ ગાંધીના અલગ-અલગ માપદંડ કેમ? તેવો પ્રશ્ન આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત કર્યો હતો. તેઓ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. જીતુભાઈએ સમગ્ર પ્રદેશ ભાજપા તથા રાજ્ય સરકાર વતી ઝારખંડમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોના આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર તેમજ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સંસદની કાર્યવાહી ખોરવવાના પ્રયાસો સહિતના ગંભીર વિષયો અંગે સખત શબ્દોમાં આકરી ટીકા કરી હતી.
વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન અત્યંત ગંભીર અને નિંદનીય
તેમણે જણાવ્યું હતું કે, ઝારખંડમાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ, પેપર લીક જેવા ગંભીર પ્રશ્નોને લઈને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન કે અપશબ્દોના ઉપયોગ સિવાય પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા હતા. આવા વિદ્યાર્થીઓ સાથે કાંટાળા તાર, લાઠીચાર્જ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન અત્યંત ગંભીર અને નિંદનીય છે.

રાહુલ ગાંધીનું મૌન અનેક સવાલો ઊભા કરે છે
ઝારખંડમાં કોંગ્રેસ અને JMMની ગઠબંધન સરકારનો ઉલ્લેખ કરતાં શ્રી વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રાજનીતિ કરનાર રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની પીડા કેમ દેખાતી નથી? ઝારખંડમાં પોતાની જ ગઠબંધન સરકારના શાસનમાં વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન થઈ રહ્યું હોવા છતાં રાહુલ ગાંધીનું મૌન અનેક સવાલો ઊભા કરે છે. દિલ્હી અને ઝારખંડ માટે અલગ-અલગ માપદંડ કેમ? તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના યુવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસના આ બેવડા વલણને જોઈ રહ્યા છે. યુવાનોના ભવિષ્ય અને તેમના હક્કોના પ્રશ્નો સિલેક્ટીવ પોલિટિક્સના આધારે નહીં, પરંતુ સંવેદનશીલતા અને જવાબદારી સાથે ઉકેલાવા જોઈએ.
પત્રકારો સાથે પણ અયોગ્ય વર્તન
ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનને કવર કરવા ગયેલા મીડિયા સાથે તંત્ર દ્વારા થયેલા દુર્વ્યવહાર અંગે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં પોતાની ફરજ નિભાવવા ગયેલા પત્રકારો સાથે પણ અયોગ્ય વર્તન થયું હોવાના વીડિયો સામે આવ્યા છે. લોકશાહીમાં મીડિયા લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પત્રકારોને તેમની ફરજ બજાવવાથી રોકવાનો કોઈપણ પ્રયાસ નિંદનીય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી છે અને દોષિતો સામે કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે. કોંગ્રેસની અગાઉની સરકારોના સમયમાં આવી ઘટનાઓ સામે યુવાનોના હિતમાં આવી કડક વ્યવસ્થા કેમ ઊભી કરવામાં આવી નહોતી, તેનો જવાબ પણ કોંગ્રેસે આપવો જોઈએ.
કોંગ્રેસ સંસદની કાર્યવાહી કેમ ખોરવી રહી છે?
સંસદના વર્તમાન સત્ર અંગે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી જે.પી. નડ્ડાજી, શ્રી કિરણ રિજિજુજી અને શ્રી પીયૂષ ગોયલજીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકાર સંસદમાં દરેક મુદ્દે જવાબ આપવા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સંસદમાં જવાબ આપવા માટે તૈયાર છે. જ્યારે સરકાર ચર્ચા અને જવાબ માટે તૈયાર છે, ત્યારે કોંગ્રેસ સંસદની કાર્યવાહી કેમ ખોરવી રહી છે?
શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસથી કોંગ્રેસ સંસદની કાર્યવાહી ખોરવીને દેશના મહત્વના પ્રશ્નો પર ચર્ચા થવા દેતી નથી. સંસદ લોકશાહીનું પવિત્ર મંદિર છે, જ્યાં દેશના કરોડો નાગરિકોના પ્રશ્નો, નીતિઓ અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. પરંતુ કોંગ્રેસ વારંવાર ઇરાદાપૂર્વક ચર્ચાથી દૂર ભાગીને સંસદનો કિંમતી સમય બરબાદ કરી રહી છે. રાહુલ ગાંધી દેશમાં અરાજકતા અને જુઠ્ઠાણાના પોસ્ટર બોયનું પ્રતીક બની ગયા છે.
ચર્ચા થશે અને સરકાર જવાબ આપશે તો…
શ્રી વાઘાણીએ જણાવ્યું કે રાહુલ ગાંધી ઇરાદાપૂર્વક સંસદને ચાલવા દેવા નથી માંગતા, તેમને અરાજકતા અને જૂઠ ફેલાવવામાં જ રસ છે. રાહુલ ગાંધી તેમની જૂઠાણાંની ફેક્ટરીમાથી નવું જુઠાણું લાવ્યા છે કે, જંતર-મંતર પર ગોળીબાર થયો હતો. પણ હકીકત એ છે, શ્રી જે.પી. નડ્ડાજીએ પણ કહ્યું છે કે, જંતર-મંતર પર એક પણ ગોળી ચાલી નથી. વાસ્તવિકતા એ છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઈચ્છતા જ નથી કે સંસદમાં ચર્ચા થાય અને દેશના માનનીય ગૃહમંત્રીજી અમિતભાઈ શાહ જવાબ આપે, કારણ કે જો ચર્ચા થશે અને સરકાર જવાબ આપશે, તો રાહુલ ગાંધીના દરેક જુઠ્ઠાણાં અને ભ્રામક વાતો ખુલ્લા પડી જશે.
તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે પ્રશ્નો હોય તો તે સંસદમાં નિયમો અને બંધારણીય જોગવાઈઓ મુજબ રજૂ કરવા જોઈએ. સંસદમાં ચર્ચા નહીં થાય તો ચર્ચા ક્યાં થશે? દેશની જનતા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદમાં બેસીને દેશના પ્રશ્નો પર ચર્ચા કરતા જોવા માંગે છે, સંસદની કાર્યવાહી અટકાવતા નહીં. વારંવાર મુદ્દો બદલવો, ભ્રામક દાવાઓ કરવા અને ચર્ચાના મૂળ પ્રશ્નથી જનતાનું ધ્યાન ભટકાવવું એ કોંગ્રેસની રાજનીતિ બની ગઈ છે. પરંતુ દેશની જનતા હવે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત સારી રીતે સમજી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, ઝારખંડમાં વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસ અને JMMની ગઠબંધન સરકાર દ્વારા થયેલા બર્બર અત્યાચાર અંગે રાહુલ ગાંધી અને કોંગ્રેસે માફી માંગવી જોઈએ. ભાજપા દેશના યુવાનો અને વિદ્યાર્થીઓના હિત સાથે અડીખમ ઉભી છે. યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય કરનાર કોઈપણ તંત્ર કે વ્યક્તિ સામે અવાજ ઉઠાવવાનું ભાજપ સતત ચાલુ રાખશે.


