Site icon Revoi.in

કોડીનારમાં શિંગોડા નદીમાં એક બાળક ડુબી ગયો, તેને બચાવવા જતા બીજા બાળકનું પણ મોત

Social Share

કોડીનાર:  શહેરમાં પસાર થતી શિંગોડા નદીમાં એક બાળક નાહવા માટે ગયો હતો. અને ઊંડા પાણીમાં ડુબવા લાગતા તેને બચાવવા નદીકાંઠે ઊભેલો 16 વર્ષીય કિશોરે પણ નદીમાં પડ્યો હતો. ડૂબી જતા એક માસૂમ બાળક અને કિશોર સહિત બન્નેના મોત નિપજ્યા હતા. આ ઘટના કોડીનાર મામલતદાર કચેરીની પાછળના ભાગે બની હતી. સ્થાનિક લોકોએ બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતા આ બનાવથી પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

આ બનાવની વિગતો એવી છે કે,  કોડીનારમાં મામલતદાર કચેરી પાછળ શિંગોડા નદીમાં બપોરના અરસામાં ઈસ્માઈલ નામનો  બાળક નહાવા ગયો હતો. અને તે ડૂબવા લાગ્યો હતો. તેને જોઈને 16 વર્ષીય શમશેરઅલી રહેમાનઅલી તેને બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો. પરંતુ કમનસીબે બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોએ બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક કોડીનારની સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાળકોના નામ ઈસ્લામ ભૂરા સોરઠીયા (ઉંમર 7 વર્ષ) અને જલાલી શમશેરઅલી રેહમાનઅલી (ઉંમર 16 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી બંનેના મૃતદેહોને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નદી-તળાવો નજીક બાળકોની સુરક્ષાનો મુદ્દો ઉભો કર્યો છે અને વાલીઓને બાળકોને આવા જોખમી સ્થળોથી દૂર રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.