1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના મણિનગરમાં મધરાત બાદ દારૂના નશામાં કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત
અમદાવાદના મણિનગરમાં મધરાત બાદ દારૂના નશામાં કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત

અમદાવાદના મણિનગરમાં મધરાત બાદ દારૂના નશામાં કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત

0
Social Share

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રે પુરફાટ ઝડપે નબીરાઓ વાહનો ચલાવતા હોય છે. તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત થતા નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજુ આ બનાવની લોકોમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે જ શહેરના મણિનગર વિસ્તારમાં ફરી એક અકસ્માત સર્જાયો હતો. દારૂ પીને નશામાં ચકચુર બનેલા નબીરાએ પુરફાટ ઝડપે કાર ચલાવીને દીવાલ સાથે અથડાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જો કે મધરાત બાદ આ બનાવ બન્યો હોવાથી રોડ પર કોઈ ટ્રાફિક નહતો. તેથી સદભાગ્યે કોઈના જીવ ગયા નહતા.અકસ્માતને પગલે પોલીસ દોડી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી કારમાં અન્ય ત્રણ યુવાનો પણ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં ફરી એક વખત મણિનગરમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. આ વખતે અકસ્માત કરનારો નબીરો દારૂ પીધેલી હાલતમાં હતો. નબીરાએ પૂરફાટ ઝડપે અને બેફકિરાઈથી કાર ચલાવતા કાર દીવાલ સાથે ભટકાઈ અને પલટી ખાઈ ગઈ હતી.  કેદાર દવે નામનો કારચાલક યુવાન તેમજ તેની સાથેના કારમાં સવાર ત્રણ યુવાનો પણ દારૂ પીધેલી હાલતમાં હતા. જેઓની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યારે આ તમામ યુવાનો ઇસનપુરના હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસને મણિનગરમાં થયેલા અકસ્માતમાં કારની અંદરથી બિયરની બોટલો પણ મળી આવી છે. આ સમગ્ર બનાવ અંગે હાલ પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારી ગામીતે જણાવ્યું હતું કે,  રાતના 12 વાગ્યા પછીનો આ બનાવ છે. મણીનગર વિસ્તારમાં એક સિયાઝ કાર પલટી ખાઈ ગઈ હતી. તેમાં ટોટલ ચાર ઇસમો બેઠા હતા. એ તમામ ડ્રીંક કરેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી કાર ચાલકના વિરુદ્ધમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ  ટ્રાફિક પોલીસ સ્ટોશનમાં નોંધવામાં આવ્યો છે. તથા બીજા ત્રણ જે ઈસમો હતા, એમના વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશન ખાતે પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે. તથા ગાડીમાંથી 2 બિયરના નંગ મળી આવેલા જે બાબતે મણીનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો કેસ દાખલ કરવામા આવ્યો હતો. આગળની તપાસ હાલમાં ચાલુ છે. હાલની તપાસમાં એમનો કોઈ ગુનાઈત ઈતિહાસ મળ્યો નથી. ચાલકની ઉંમર 25 વર્ષ છે અને એ એના પિતાજી સાથે ઈલેક્ટ્રીક વસ્તુનો વેપાર કરે છે.

મણિનગર પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે રાત્રે 12:30ની આજુબાજુના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી. કાર દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ બનાવમાં કોઈને ઇજા કે અવસાનની માહિતી મળી નથી, પરંતુ કારની અંદરથી લોહીના ડાઘ મળી આવ્યા છે.  અકસ્માત સમયે બાકડા પર લોકો બેઠેલા હતા. જે કારને દૂરથી આવતી જોઈને ભાગી જતા તેમના જીવ બચી ગયા હતા.

આ બનાવ અંગે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉનડકટે જણાવ્યું હતું કે, અકસ્માત કરનારો કારચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને તેમની કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. જે સંદર્ભનો પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. અકસ્માત કરનાર ઇસનપુરના હતા અને કાંકરિયા તરફથી આવી રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code