નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર વ્યક્તિઓના મોત થયાં છે. ઈઝરાયલના હુમલામાં હમાસના અનેક ટોપ લીડર અને કમાન્ડરના મોત થયાં છે. દરમિયાન આ યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં હમાસની એક વરિષ્ઠ મહિલા અધિકારીનું મોત થયાનું જાણવા મળે છે. ઇઝરાયેલના હુમલામાં હમાસના રાજકીય બ્યુરોના વરિષ્ઠ સભ્ય જમીલા અલ-શાંતિનું મોત થયું થયાનું ચર્ચાય રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, હમાસના સહ-સ્થાપક અબ્દેલ અઝીઝ અલ-રાંતિસીની પત્ની અને હમાસના રાજકીય બ્યુરોના વરિષ્ઠ સભ્ય જમીલા અલ-શાંતિ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. રિપોર્ટ અનુસાર, એ સ્પષ્ટ નથી કે આ હત્યા ઇઝરાયેલ દ્વારા જાણીજોઇને કરવામાં આવી છે કે નહીં. અલ-શાંતિ આ પદ પર ચૂંટાયેલી પ્રથમ મહિલા છે અને તેને હમાસની વરિષ્ઠ સભ્ય માનવામાં આવે છે.
આ સપ્તાહની શરૂઆતમાં હમાસના વરિષ્ઠ સશસ્ત્ર કમાન્ડર અયમાન નોફાલ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. આ સમય દરમિયાન, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ હમાસના મુખ્ય મથકને નિશાન બનાવ્યું હતું, જ્યાંથી આતંકવાદી જૂથ તેની હવાઈ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે. આ દરમિયાન હમાસના હવાઈ જૂથના વડા અબુ મુરાદ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.
આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે 17 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલની સેના દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. ઈઝરાયલ દ્વારા હમાસના નેતાઓને ટાર્ગેટ કરીને તેમનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે.