1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં કોર્પોરેટરના બંગલામાં મધરાતે લાગી આગ, 17 વર્ષના યુવાનનું મોત, ઘર-વખરી બળીને ખાક
સુરતમાં કોર્પોરેટરના બંગલામાં મધરાતે લાગી આગ, 17 વર્ષના યુવાનનું મોત, ઘર-વખરી બળીને ખાક

સુરતમાં કોર્પોરેટરના બંગલામાં મધરાતે લાગી આગ, 17 વર્ષના યુવાનનું મોત, ઘર-વખરી બળીને ખાક

0
Social Share

સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીમાં  AAPના કોર્પોરેટર જિતેન્દ્ર (જિતુ) કાછડિયાના બંગલામાં રાત્રે બે વાગ્યે આગ લાગતાં જીતુભાઈના પુત્રનું મોત નીપજ્યું હતું.  બંગલામાં આગ લાગતા અને ધૂમાડો પ્રસરી જતાં કાછડિયા પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો, પરંતુ 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત નિપજ્યુ હતુ. આગના બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા.

ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. અને પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું, જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. બીજા માળે જિતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા. જેમાં એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યાર બાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઊતરી શકાય એવી સ્થિતિ ન હતી. આથી પરિવારના છ સભ્યએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આગની જાણ કરાતા ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગના ફાયટરોએ બંગલાના બીજા માળે પહોંચીને જોતા  પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.

ફાયર વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાત્રે 2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઘરમાં સભ્યો પણ ફસાયા હોવાની પણ જાણ થઈ હતી. જોકે તેઓ કૂદી જતાં બચાવ થયો હતો, જ્યારે એક યુવક ફસાયો હોવાની જાણ થતાં તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે તેને બચાવવામાં સફળતા મળી નહોતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code