Site icon Revoi.in

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં રિવોલ્વર લઈને લૂંટ કરવા આવેલો શખસ પકડાયો

Social Share

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. એનબી જ્વેલર્સમાં એક યુવક રિવોલ્વર લઈને ઘુસી ગયો હતો. લૂંટના ઇરાદે આવેલા યુવકને જોઈએ જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે લૂંટારૂ શખસને ઝડપી પાડ્યો હતો. અને પોલીસને હવાલે કર્યો હતો.  લૂંટારૂ શખસ પાસે રિવોલ્વર જ નકલી હતી, માત્ર લાઇટર રિવોલ્વર હતી.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં એનબી જ્વેલર્સ આવેલું છે અને તેના માલિક નરેન્દ્રસિંહ રાજપૂત છે. મંગળવારે બપોર બાદ એક યુવક રિવોલ્વર લઈને જવેલર્સના શોરૂમમાં ઘૂસી ગયો હતો. યુવકના હાથમાં રિવોલ્વર જોઈને મહિલા સ્ટાફમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. દરમિયાન જ્વેલર્સના માલિક નરેન્દ્રસિંહે હિંમત કરીને રિવોલ્વર લઈને આવેલા યુવકનો હિંમતભેર સામનો કર્યો હતો. જેની સ્ટાફે પણ મદદ કરી હતી. જેથી રિવોલ્વર લઈને આવેલા યુવકને પકડી પાડવામાં સફળતા મળી હતી. યુવકને પકડીને તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને આ અંગે કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવક પાસે રહેલી રિવોલ્વરની તપાસ કરતા એ લાઇટર હોય તેવું સામે આવ્યું હતું. જ્યારે યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું. કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે,  આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો. જ્યારે છેલ્લા પાંચ મહિનાથી તે વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો. હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી. સુરતમાં તે તેના મામાના દીકરા સાથે રહે છે. જ્વેલર્સની નજીકમાં જ રહેતો હોવાથી બે દિવસ પહેલા તેણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો. જેની આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો અને તેના રૂપિયા ન આપવા પડે તે માટે તેણે આ કારસ્તાન કર્યું હતુ.