- સુરતના કતારગામ જીઆઈડીસી નજીક પતરાના શેડવાળા ગોદામમાં બન્યો બનાવ
- ફાયરના જવાનોએ ગોદામમાંથી ગેસ ભરેલા બાટલાં બહાર કાઢતા જાનહાની ટળી
- ગોદામ પાછળ કચરો સળગાવાતા તેના તણખાને લીધે આગ લાગી હોવાનું અનુમાન
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં પતરાના શેંડમાં આવેલા એક મંડપના ગોદામમાં ભીષણ આગ લાગતા આ બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ સાથે જવાનો દોડી ગયા હતા. પણ આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું. ફાયરના જવાનોએ બે કલાક સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી, આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પર આવેલા સ્મશાનગૃહની સામે ગેરકાયદે પતરાના શેડમાં ચાલી રહેલા મંડપના એક ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ત્રણ કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા મંડપના ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગના 9 ફાયર સ્ટેશનની 15થી 17 ગાડીઓએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સૌથી ગંભીર બાબત એ હતી કે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જો ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ મંડપના ગોદામમાં કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. આગની ભીષણતાને ધ્યાનમાં રાખીને, શહેરના 9 ફાયર સ્ટેશનની 15થી 17 જેટલી ગાડીઓને સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ગોદામની પાછળની સાઇડમાં કચરો સળગાવવામાં આવતા તેના તણખા પડવાથી આ આગ લાગી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે બે કલાકની જહેમત ઉઠાવી હતી. ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી.

